ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ યોદ્ધાઓ અને લાખો માઈ ભક્તોને અંબાજીની સુરક્ષિત યાત્રા કરાવનાર એસ.ટી. વિભાગના કર્મચારીઓનું બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત શુંબે દ્વારા સફાઈ કર્મીઓ અને એસ.ટી કર્મીઓને ગુલાબ અને માતાજીનો ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાનની તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે. આવા સમયમાં મેળાની સ્વચ્છતા જાળવી રાખવા માટે સતત સેવા આપતા સફાઈ યોદ્ધાઓ તથા ભક્તોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરનારા એસ.ટી. વિભાગના કર્મચારીઓનું બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેની આગેવાની હેઠળ યોજાયેલ સન્માન સમારોહમાં સફાઈ યોદ્ધાઓ અને એસ.ટી. કર્મચારીઓને ગુલાબનું ફૂલ અને માતાજીનો ખેસ પહેરાવી માન અપાયું. મેળા દરમિયાન ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા, પરિશ્રમ અને અડગ સેવા ભાવને બિરદાવી જિલ્લા પોલીસ વિભાગ તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ જણાવ્યું કે અંબાજી મહામેળામાં દર વર્ષે લાખો ભક્તો મા અંબાના દર્શન માટે આવે છે. આવા સમયે સ્વચ્છતા જાળવતા સફાઈ યોદ્ધાઓ તથા સુરક્ષિત યાત્રા કરાવતા એસ.ટી. વિભાગના કર્મચારીઓ સમાજ માટે સાચા અર્થમાં આદરણીય છે. માઈ ભક્તોની સુખાકારી માટે દિવસ- રાત પરિશ્રમ કરનારા આ યોદ્ધાઓ સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત છે.
પોલીસ વિભાગના નાતે, હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમના અવિરત પ્રયત્નોથી ભક્તો નિરાંતે માતાજીના દર્શન કરી શકે છે. આ પ્રકારની સેવા એ સાચી ભક્તિ સમાન છે. સમાજના દરેક ખૂણે આવી જ ભાવના ફેલાય એ જ અમારી શુભકામના છે.

