યાત્રિકો માટે પ્રસાદ સ્વરૂપે નિ:શુલ્ક ભરપેટ ભોજનની વ્યવસ્થા કરાઈ
યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આજે 30 જાન્યુઆરીથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે શક્તિપીઠ અંબાજીના ગબ્બર તળેટી ખાતે દેશ વિદેશમાં સ્થાપિત 51 શક્તિપીઠ મંદિરો તાત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2014 માં સ્થાપિત કરવામાં આવ્યા હતા. જેમાં ભારત સહીત શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાન જેવા દેશોમાં સ્થાપિત 51 શક્તિપીઠ મંદિર જેવા જ આબેહૂબ 51 શક્તિપીઠની સ્થાપના અંબાજીના ગબ્બર તળેટી ખાતે કરવામાં આવી છે.
આવતીકાલથી આ 51 શક્તિપીઠ મંદિરોનો 12 મોં પાટોત્સવ શરુ થવા જઈ રહ્યો છે. આવતીકાલે 30 જાન્યુઆરીએ ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારે 09:30 કલાકે આ 51 શક્તિપીઠના પરિક્રમા મહોત્સવની શરૂઆત કરાવશે. જેને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહીત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે વિવિધ સુવિધા સાથે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ પરિક્રમા મહોત્સવ ત્રણ દિવસ ચાલશે. જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા કલેકટર મિહિર પટેલએ જણાવ્યું હતું. જ્યારે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઇ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 600 ઉપરાંત સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે તેની સાથે ટીમ, ડોગસ્કોર્ડ, ઘોડે સવાર પોલીસ જવાન સહિત સિવિલિયન ડ્રેસમાં પણ પોલીસ કર્મીઓ આ મહોત્સવ દરમિયાન ફરજ બજાવશે તેમ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું.
આ 51 શક્તિપીઠ મંદિરોની સ્થાપનાની કલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી કે, અંબાજી આવતા શ્રદ્ધાળુઓને એક જ જન્મમાં એક જ દિવસે અને એક જ સમયે 51 શક્તિપીઠ મંદિરોની પરિક્રમા થકી દર્શનનો લ્હાવો મેળવી શકે.આ 3 દિવસીય મહોત્સવનું સમગ્ર આયોજન રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહીત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત પણે કરવામાં આવ્યું છે.



