ડીસા ફટાકડા ફેક્ટરી કાંડ સુપ્રીમ કોર્ટના દ્વારે; સીટનો રીપોર્ટ આજે 52 દિવસ બાદ પણ અધ્ધરતાલ

ડીસા ફટાકડા ફેક્ટરી કાંડ સુપ્રીમ કોર્ટના દ્વારે; સીટનો રીપોર્ટ આજે 52 દિવસ બાદ પણ અધ્ધરતાલ

સરકારી તપાસ સામે સવાલો; પીડિત પરિવારોની ગુજરાત બહારની પોલીસ દ્વારા તપાસ કરાવવાની માંગ

બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસા નજીક ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 23 મજૂરોના કરૂણ મોત થયા બાદ હજી પણ સીટનો રીપોર્ટ અધ્ધરતાલ છે પરંતુ હવે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.મૃતકોના પરિવારજનો,કે જેઓ મુખ્યત્વે મધ્યપ્રદેશના વતની છે, તેમણે ગુજરાતના જાણીતા વકીલ ઉત્કર્ષ દવે મારફતે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને આ ઘટનાની ગુજરાત બહારની પોલીસ દ્વારા નવી તપાસ કરાવવાની માંગ કરી છે.

ગત 1 એપ્રિલ, 2025 ના રોજ ડીસાના ઢુવા રોડ પર આવેલ દીપક ટ્રેડર્સ નામની ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 23 નિર્દોષ મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. ઘટના બાદ પોલીસે ફેક્ટરીના માલિક પિતા-પુત્ર દીપક અને ખૂબચંદ મોહાનીને ઝડપ્યા હતા.રાજ્ય સરકારે પણ આઈએએસ અધિકારીઓની સીટની રચના કરી હતી. પરંતુ આજે 52 દિવસ વિતવા છતાં રીપોર્ટ અધ્ધરતાલ છે.જેને લઈ આ ગેરકાયદેસર ફેક્ટરી લાંબા સમયથી પરવાનગી વગર કેવી રીતે ધમધમી રહી હતી અને તેના માટે કયા અધિકારીઓ જવાબદાર હતા? તેવા પ્રશ્નો આજે પણ અનુત્તર રહ્યા છે.

પીડિત પરિવારોનો આક્ષેપ છે કે ગુજરાતમાં દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત છે અને સરકાર સામાન્ય લોકોની કાળજી લેવામાં નિષ્ફળ રહી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં મોરબી બ્રિજદુર્ઘટના, હરણી કાંડ, ટીઆરપી કાંડ અને ડીસા ફટાકડા ફેક્ટરી દુર્ઘટના સહિતની ઘટનાઓ ટાંકીને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સરકારી તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પરિવારોએ માંગ કરી છે કે આ મામલાની તપાસ ગુજરાત બહારની પોલીસને સોંપવામાં આવે કારણ કે તેમને ગુજરાત પોલીસ પર ભરોસો નથી કે તે પોતાના જ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે. અરજીમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે સ્થાનિક પોલીસ સહિત કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓની પણ જવાબદારી બને છે, પરંતુ તેમની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી.સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપીને પોતાની જવાબદારી પૂરી કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ પીડિતો આ વળતરને અપૂરતું અને સરકારની બેદરકારી છુપાવવાનો પ્રયાસ માની રહ્યા છે. ત્યારે આમ પ્રજામાં સરકારી તપાસ સામે સવાલો ઉઠતા સરકારની પ્રતિષ્ઠા પણ ખોરવાઈ રહી છે.

પીડિત પરિવારોને ન્યાય મળવાની આશા; રાજ્યમાં માનવ સર્જીત દુર્ઘટનાઓ વધ્યે જતા ફટાકડા દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે સીટની રચના કરી રીપોર્ટ કરવાની તાકીદ કરી હતી પણ રીપોર્ટ હજી સુધી કરાયો નથી.જેને લઈ આમ પ્રજામાં અવનવી શંકા કુશંકાઓ જાગી છે પણ હવે સુપ્રીમ કોર્ટ આ મામલે શું આદેશ કે નિર્દેશ આપે છે? તે જોવું રહ્યું. પરંતુ આ કેસ ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા અને સરકારી તંત્રની જવાબદારી નક્કી કરવા માટે એક સીમાચિહ્નરૂપ બની શકે છે.તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે. બીજી બાજુ, પીડિત પરિવારોને પણ ન્યાય મળવાની આશા બંધાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *