વિવાદ મુદ્દે 8 સામે એટ્રોસિટી ગુનો નોંધાયો : 3ની પોલીસે ધરપકડ કરી
ડીજેના નામે થયેલી બબાલ પાછળ જૂની અદાવત અને શોકનો લોકાચાર મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું
પાટણ તાલુકાના ચદ્રુમણા ગામે રવિવારે અનુસૂચિત જાતિના વરઘોડામાં ડીજે વગાડવા મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે આ મામલે 8 શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાની મળતી પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ ચંદ્રુમણા ગામમાં ગણપતભાઈ કલાભાઈ ચાવડાના પુત્રના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડા બાદ ગામના જોગણી માતાના ચોકમાં રાસ-ગરબાનું આયોજન કરાયું હતું, જે આરોપી બકુજી જીવણજી ઠાકોરના ઘર નજીક છે.પોલીસ તપાસ મુજબ, ઠાકોર સમાજમાં શોકનો લોકાચાર ચાલતો હોવાથી આરોપીઓએ ફરિયાદી પક્ષને ડીજે બંધ કરવા જણાવ્યું હતું. આ મુદ્દે બંને પરિવારો સામ સામે આવી જતાં ઝઘડો થતાં ગામમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ 112 નંબર પર પોલીસને કરતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને મામલો થાળે પાડ્યો.
પોલીસે કુલ 8 આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), જી.પી. એક્ટ અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ FIR દાખલ કરી છે.પોલીસે અત્યાર સુધીમાં બકુજી ઠાકોર, જીવનજી ઠાકોર અને એક સગીર સહિત 3 આરોપીઓની અટકાયત કરી છે. ફરાર અન્ય 5 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ મામલે ડીવાયએસપી પરેશ રેણુકાના જણાવ્યા અનુસાર, આ વિવાદ પાછળ કોઈ તાત્કાલિક જાતિવાદી કારણ નથી.
ફરિયાદી અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી જમીન બાબતે જૂની અદાવત ચાલી રહી છે. અગાઉ 2022 માં પણ આ જ પક્ષકારો વચ્ચે જમીન બાબતે માથાકૂટ થતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત મુખ્ય કારણ હોવાનું જણાય છે.હાલમા આઠ આરોપી પૈકી જીવણજી ઠાકોર,બકુજી ઠાકોર અને એક સગીર ધરપકડ કરવામાં આવી છે જયારે બાકીના પાચ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

