થરાદ તાલુકાના ભલાસરા ગામે વ્યસનમુક્તિ માટે ગ્રામજનોએ સરાહનીય પગલાં ભર્યા છે. સમગ્ર ગામના લોકો ભેગા મળી એક મહત્વની બેઠક યોજી હતી જેમાં દારૂ અને અન્ય કેફી પદાર્થોના વેચાણ અને સેવન સામે સખત નિર્ણય લેવાયો છે. ગામમાં કોઈ વ્યક્તિ દારૂ કે અન્ય કેફી પીણું વેચતો કે પીતો પકડાશે તો તેની સામે સીધી રીતે ₹51,000 નો દંડ ફટકારવામાં આવશે અને ત્યારબાદ તેને પોલીસના હવાલે પણ કરવામાં આવશે.
સાથે જ એવો પણ નિર્ણય લેવાયો કે જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં ગામમાં પ્રવેશ કરશે તો તેને દંડ ફટકારવામાં આવશે અને તાત્કાલિક પોલીસને જાણ કરાશે. વધુમાં, જો કોઈ દારૂ પીને પકડાયેલ વ્યક્તિને ગામનો વ્યક્તિ છોડાવવા આવશે તો એ વ્યક્તિ પાસેથી પણ ₹11,000 નો દંડ વસૂલ કરાશે.
આ નિર્ણયોની અમલવારી માટે ખાસ કમિટી ની રચના કરવામાં આવી છે. આ કમિટી દંડ વસૂલી તેમજ દારૂ વેચતા કે પીતા લોકોને ઓળખી કાર્યવાહી કરશે. સમગ્ર ગામના લોકો માટે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તેની ઘરમાં કોઈ સામાજિક પ્રસંગમાં ન જવાનું સમૂહે બહિષ્કાર કરવાનો નિર્ધાર કર્યો છે. ભલાસરા ગામે લેવાયેલા આ કડક અને એકતાભર્યા નિર્ણયોને ગ્રામજનોના વ્યસનમુક્તિના દ્રઢ સંકલ્પનો ભાગ ગણાવવામાં આવી રહ્યો છે.

