થરાદના રાહ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પીએમ સૂર્ય ઘર અને ખાનગી હોટલના લોકાર્પણ પ્રસંગે પધાર્યા હતાં. જ્યાં રાહને તાલુકા મથક બનાવવા ફરી એકવાર ઈશારો કર્યો હતો. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે. તમારા બધાનું જે સપનું છે એ સપનું સાકાર કરવું છે. એની અલગ અલગ તૈયારીઓ હોય એ બધી તૈયારીઓ થઈ રહી છે. જે પ્રમાણે થરાદનું ડેવલોપમેન્ટ થવા લાગ્યું એના રસ્તા બન્યા, હોસ્પીટલ બની અને બીજી બધી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ. હવે જાહેરનામું પણ પડી જશે એટલે એની તૈયારીઓ અને પ્લાનિંગ તો બધાએ ભેગા મળીને કરવું પડેને.
આ અગાઉ પણ વિધાનસભાના અધ્યક્ષે થરાદ તાલુકાના કિયાલ ગામે ગ્રામ પંચાયતની નવીન બિલ્ડીંગ અને પટેલ નાગજી કેસરા ગોળીયા પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે થોડા દિવસોમાં તાલુકો પણ બદલાશે અને જિલ્લો પણ બદલાશે.તેમણે અગાઉ કહ્યું હતું કે, રાહ તાલુકો બનશે તો થરાદના છેવાડાનાં લોકોને ફાયદો થશે.ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના વિભાજન બાદ કેટલીક જગ્યાએ લોકોમાં વિરોધ પણ જોવા મળ્યો હતો.

