બનાસકાંઠામાં રૂ. ૩૫ લાખનું ભેળસેળયુક્ત ઘી ઝડપાયું: પામ ઓઇલની ભેળસેળની શંકા

બનાસકાંઠામાં રૂ. ૩૫ લાખનું ભેળસેળયુક્ત ઘી ઝડપાયું: પામ ઓઇલની ભેળસેળની શંકા

ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં કડક કાર્યવાહી ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, બનાસકાંઠાના ચંડીસર ખાતે આવેલી મે. શ્રી સેલ્સ પેઢી પર ફરી એકવાર દરોડો પાડવામાં આવ્યો છે, જેમાં આશરે ₹૩૫ લાખથી વધુની કિંમતનો ૫.૫ ટન શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો.એચ.જી. કોશિયાના જણાવ્યા મુજબ, જૂન ૨૦૨૫માં આ જ પેઢી પર દરોડો પાડીને ₹૩.૫ લાખથી વધુનો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. આ વેપારી પર સતત નજર રાખવામાં આવતા, તાજેતરમાં ૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ વહેલી સવારે ચંડીસર જી.આઈ.ડી.સી. એરિયાના પ્લોટ નંબર ૧૦૧ પર આવેલા એક ખાનગી ગોડાઉનમાં આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન, ગોડાઉનના જવાબદાર ભાવેશ અશોકભાઈ ચોખાવાલા હાજર હતા. તપાસ કરતાં, અધિકારીઓને “ગુમર બ્રાન્ડ” ઘીના ૧૫ કિલોના ૧૨૪ ટીન અને લેબલ વગરના ૧૫ કિલોના ૨૩૨ ટીન મળી આવ્યા. કુલ ૫.૫ ટનનો આ જથ્થો ભેળસેળયુક્ત હોવાની શંકાના આધારે જપ્ત કરી લેવામાં આવ્યો છે. તેની અંદાજિત કિંમત ₹૩૫ લાખથી વધુ છે. તંત્ર દ્વારા શંકાસ્પદ ઘીના બે નમૂના લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. સ્થળ પરથી પામ ઓઈલના ખાલી બોક્સ પણ મળી આવ્યા હોવાથી ઘીમાં પામ ઓઈલની ભેળસેળ થઈ હોવાની પ્રબળ આશંકા છે.

કમિશનર ડો. કોશિયાએ જણાવ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે. આ દરોડાને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં રાજ્યભરમાં ૧૦ સ્થળોએ દરોડા પાડીને ₹૧.૮ કરોડની કિંમતનો આશરે ૪૬ ટન શંકાસ્પદ ખાદ્યપદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *