સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત જોવા મળી રહી છે. શિયાળુ પાકો માટે ખાતર મેળવવામાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડબ્રહ્મા સહકારી સંઘ ખાતે ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી રહી છે. રાયડો અને ઘઉં જેવા શિયાળુ પાકો માટે યુરિયા ખાતર અત્યંત આવશ્યક છે. જોકે, છેલ્લા ઘણા દિવસોથી ખેડબ્રહ્મા તાલુકામાં ખાતરની અછત પ્રવર્તી રહી છે. શિયાળાની અડધી સીઝન વીતી ગઈ હોવા છતાં ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ ખાતર મળી રહ્યું નથી.
ખેડૂતોના જણાવ્યા મુજબ, તેઓ વહેલી સવારથી, એટલે કે સવારે ૬ વાગ્યાથી, ખાતર લેવા માટે આવી રહ્યા છે. પરંતુ, પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી તેમને ખાતર મળી રહ્યું નથી. પરિણામે, તેમને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. રાધી વાડ ગામના એક મહિલા ખેડૂતે જણાવ્યું કે, તેઓ સવારે ૭ વાગ્યાથી રાહ જોઈ રહ્યા છે, તેમ છતાં તેમને ખાતર મળ્યું નથી. તેમણે ચિંતા વ્યક્ત કરી કે ચોમાસુ સીઝન નિષ્ફળ ગઈ છે, અને જો શિયાળુ સીઝન માટે પણ ખાતર નહીં મળે તો પાકનું ઉત્પાદન કેવી રીતે થશે. ખાતર વિના પાક શક્ય ન હોવાથી ચાલુ શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે ચોમાસુ સીઝન બાદ શિયાળુ સીઝન પણ ખાતરના અભાવે નિષ્ફળ જશે. આથી, ખેડૂતોએ સરકારને તાત્કાલિક પૂરતું ખાતર પૂરું પાડવા વિનંતી કરી છે.


