કાંકરેજ તાલુકામાં સૌથી વધુ 1366 અને ભાભર તાલુકામાં સૌથી ઓછા 59 કાર્ડ રદ
બનાસકાંઠામાં સરકાર દ્વારા 7131 રેશનકાર્ડ રદ; બનાસકાંઠામાં જિલ્લામાં 7131 બીપીએલ અને અંત્યોદય કાર્ડ રદ કરી આ તમામ કાર્ડ હવે એપીએલ કાર્ડમાં ફેરવી નાખવામાં આવ્યા છે.સરકારના રાશન પોર્ટલ પર જાહેર થયેલી માહિતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા પાન કાર્ડ સાથે લિંક થયેલા આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા ચાલુ છે. આ લિંકિંગ દ્વારા ગ્રાહકોની સાચી આર્થિક સ્થિતિની જાણકારી મળી રહી છે.
આ પ્રક્રિયામાં એવું બહાર આવ્યું કે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના ગ્રામીણ વિસ્તાર અને પાલનપુર અને ડીસા શહેર એમ કુલ મળીને 7131 કાર્ડ ધારકો વાર્ષિક રૂ. 6 લાખથી વધુનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હતા. અથવા તેઓ રૂ. 25 લાખથી વધુનું જી.એસ.ટી. ટર્નઓવર ધરાવતા હતા.તેમના બીપીએલ અને અંત્યોદય કાર્ડને એપીએલમાં ફેરવી દેવાયા છે.જેમાં કાંકરેજ તાલુકામાં સૌથી વધુ 1366 કાર્ડ રદ કરાયા છે અને તો ભાભર તાલુકામાં સૌથી ઓછા 59 કાર્ડ રદ કરવામાં આવ્યા છે.આમ, આર્થિક રીતે સધ્ધર હોવા છતાં મફતનું રેશનિંગ મેળવતા કાર્ડ ધારકો ઉપર સરકારે હવે તવાઈ આદરી છે.
તાલુકા પ્રમાણે કેટલા કાર્ડ રદ કરાયા; અમીરગઢ 164,કાંકરેજ 1366,ડીસા 1229,થરાદ 558, દાંતા 117,દાંતીવાડા 485, દિયોદર 209, ધાનેરા 72, પાલનપુર 773, ભાભર 59, લાખણી 488, વડગામ 244, વાવ 937 અને સુઇગામ તાલુકાના 68 કાર્ડ રદ કરી એપીએલમાં ફેરવી દેવાયા છે. જ્યારે જિલ્લા મથક પાલનપુર શહેરમાં 100 અને ડીસા શહેરમાં 262 કાર્ડ રદ કરવામાં આવ્યાં છે.
હજુ વધુ કાર્ડ રદ થશે; જિલ્લા પુરવઠા વિભાગ, બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા અને પાલનપુર- ડીસા શહેરમાં કુલ 3,03,304 રેશનકાર્ડ ધારકો હાલ પુરવઠા વિભાગ દ્વારા રેશનિંગનો જથ્થો વ્યાજબી ભાવે મેળવી રહ્યા છે.પરંતુ રેશનિંગ વિતરણની ગેરરીતિઓ ડામવા અને સાચા ગરીબ અને મધ્યમ વર્ગના રેશનકાર્ડ ધારકોને ન્યાય આપવા સરકાર દ્વારા હાલ પાન કાર્ડ સાથે લિંક થયેલા આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા ચાલુ છે. આ લિંકિંગ દ્વારા ગ્રાહકોની આર્થિક સધ્ધરતાની સાચી જાણકારી સામે આવી રહી છે.જેમાં સરકાર દ્વારા જિલ્લામાં કુલ 7131 કાર્ડધારકોના કાર્ડ રદ કરી એપીએલમાં ફેરવી દેવાયા છે.હજી પણ લિંકિંગ પ્રક્રિયા ચાલુ છે.જેમાં 2,96,173 કાર્ડની વેરિફિકેશન પ્રક્રિયા ચાલી રહી છે.તેથી વધુ કાર્ડ રદ થવાની શકયતા જિલ્લા પુરવઠા વિભાગે વ્યક્ત કરી હતી.


