રાજ્યના જળાશયોની સ્થિતિ અંગે મુખ્યમંત્રી દ્વારા ડેમ સેફ્ટી બેઠક યોજાઈ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરીઝમ એન્ડ પીલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકેના બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ હેઠળના કામોનું સ્થળ નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું હતુ. જેમાં ધરોઇ રિજિયનનો આ વિકાસ પ્રોજેકટ સમગ્રતયા અંદાજે રૂ.1100 કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સ્પિરીચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગારના નવા અવસરો સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ પાર પડી શકશે.
ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ ‘આઈકોનિક પ્લેસ’ તરીકે વિકસાવવામાં આવશે. એટલું જ નહીં, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ રાજ્ય સરકાર કાર્યરત છે. રાજ્યના જળાશયોમાં આવેલા નવાં નીરને પગલે ધરોઈ ડેમમાં આ વર્ષે 70.80 ટકા જેટલું નવું પાણી આવ્યું છે તેનું નિરીક્ષણ કરવા ધરોઈ ડેમની તેમણે મુલાકાત લીધી હતી. ડેમ સાઈટની તેમની નિરીક્ષણ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ડેમ સેફ્ટી અંગેની ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી.
રાજ્યના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમની સેફ્ટી અંગેની સમીક્ષા દરમિયાન જણાવવામાં આવ્યું હતુ કે, સરદાર સરોવર ડેમના અપસ્ટ્રીમ વિસ્તારમાંથી મળતી જળસ્તર અને વરસાદની માહિતી નિયમિત રીતે વોટ્સએપ, ઈ-મેઈલ અને ગૂગલ શીટ મારફતે શેર કરીને સંબંધિત રાજ્યો વચ્ચે સંકલન રાખવામાં આવે છે. સરદાર સરોવર ડેમમાં હાલ 4889 મિલિયન ઘન મીટર પાણી છે.


