સાબરકાંઠા; પોલીસ અને પશુપાલકો આમને સામને ઘટનામાં ત્રણ લોકો ઘાયલ

સાબરકાંઠા; પોલીસ અને પશુપાલકો આમને સામને ઘટનામાં ત્રણ લોકો ઘાયલ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ આજે હિંસક બન્યો. ન્યાયી ભાવની માંગણી સાથે એકઠા થયેલા પશુપાલકોએ ડેરીની દીવાલની ગ્રીલ તોડી, પથ્થરમારો કર્યો, અને મુખ્ય ગેટના CCTV પણ તોડી પાડ્યા. આ હિંસક ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જ્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પશુપાલકોએ હિંમતનગર-તલોદ મુખ્ય માર્ગ બંધ કરીને ચક્કાજામ સર્જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે સાબર ડેરી પરિસરમાં અને આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ આંદોલનમાં સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકોના સમર્થનમાં જોડાયા હતા, જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી.

પશુપાલકોનો મુખ્ય રોષ સાબર ડેરી નિયામક મંડળ સામે છે, જેઓ દૂધના ભાવફેરમાં 20 થી 25 ટકા જેટલો વધારો ચૂકવવાની માંગ કરી રહ્યા છે. તેમનો આક્રોશ એ વાતનો પણ છે કે, પોતાની રજૂઆત કરવા આવેલા પશુપાલકો સામે ડેરી દ્વારા બાઉન્સર્સ કેમ ઉભા કરવામાં આવ્યા? શું પશુપાલકો પોતાની મહેનતનો જવાબ પણ ન માંગી શકે કે પોતાની રજૂઆત પણ ન કરી શકે? આ સવાલો આજે દરેક પશુપાલકના મનમાં ઘૂમી રહ્યા છે.

સાબર ડેરીના ભાવફેરને લઈ પશુપાલકોનો વિરોધ; સાબર ડેરી દ્વારા દર વર્ષે જૂન-જુલાઈમાં ચૂકવવામાં આવતો ભાવફેર આ વર્ષે વિલંબિત થયો, જેના કારણે પશુપાલકોમાં નારાજગી વ્યાપી. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ 11મી તારીખે તેમના ખાતામાં ભાવફેર જમા થયો. વર્ષ દરમિયાન ડેરી દ્વારા ₹850 પ્રતિ કિલો ફેટે દૂધનો ભાવ ચૂકવાયો હતો. વાર્ષિક હિસાબે ₹960નો સરેરાશ ભાવ નક્કી થતાં, પશુપાલકોને ₹110 પ્રતિ કિલો ફેટે ભાવફેર મળ્યો. જોકે, પશુપાલકોનો આક્ષેપ છે કે આ ભાવફેર ગત વર્ષો કરતાં ઓછો છે. આ વિરોધ નોંધાવવા માટે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ બાદ મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરી ખાતે એકઠા થયા હતા. તેમની મુખ્ય માંગણી ભાવફેરમાં વધારો કરવાની અને દૂધનો યોગ્ય ભાવ મેળવવાની છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *