પાદરા વાળી બ્રિજ દુર્ઘટના આ પુલ ઉપર થાય તે પહેલાં નવીન પુલ બનાવવાની લોકોમાં માંગ ઉઠી
સરકારે નવીન પુલ મંજુર કર્યો પરંતુ નવીન પુલની કામગીરી હજુ હાથ ધરાઈ નથી
ગુજરાતના પાદરામાં ફરી એકવાર પુલ તૂટી જવાની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે જર્જરીત ઝૂલતા પુલ જેવી પરિસ્થિતિમાં ઊભેલા મેરવાડા પુલ પર પણ મોટી દુર્ઘટના બની શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.પાદરાની ઘટના બાદ પાલનપુર તાલુકાના મેરવાડા ગામ નજીક બનાવેલા વર્ષો જુના પુલને લઈને લોકો ભયભીત બન્યા છે. લોકોમાં હવે નવા પુલની માંગ ઉઠી છે.
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મેરવાડા રતનપુર ગામ વચ્ચે આવેલો આ વર્ષો જૂના પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે આ પુલ ઉપરથી અત્યારે પણ હજારો વાહનો દિવસ દરમિયાન પસાર થાય છે આ માર્ગ યાત્રાધામ અંબાજીને જોડતો માર્ગ છે..આ માર્ગ ઉપર બનાસકાંઠાનાં ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક નેતાઓ પસાર થાય છે..પરંતુ આ પુલનું નવીનીકરણ માટે કોઈ ધ્યાન આપતું નથી. અનેક રજૂઆતો બાદ થોડા મહિના પહેલાં સરકાર દ્વારા 40 કરોડથી વધુના ખર્ચે પુલ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.જોકે હજુ પણ આ પુલની કામગીરી શરૂ કરાઈ નથી.
સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે આ પુલ અત્યારે જર્જરિત હાલતમાં હોવાથી ભય લાગે છે પુલની ઉપરની સાઈડની બંને દીવાલોમાં ખીલાસરી દેખાય છે..દીવાલો તૂટી ગઈ છે.પુલ ઉપર ખાડા પાડયા છે જેમાં વાહનો પટકાઈ રહ્યા છે..જ્યારે ભારે વાહન ચાલે ત્યારે આ પુલ ધ્રુજારી મારે છે.જેનાથી પુલ ઉપર ચાલનારા રાહદારીઓ પણ ડરી રહ્યા છે. વર્ષો જૂનું કરવામાં આવેલું બાંધકામ હાથ લગાવતા ઉખડી રહ્યું છે. જે રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું તેને લઈને લોકો અનેક સવાલો કરી રહ્યા છે. પુલની ઉપરની દીવાલે લોખંડની ઇન્ગલો બહાર દેખાઈ રહી છે..આજુ બાજુના ગામોનાં લોકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે ..પરંતુ નવીન પુલ બનાવવામાં આવતો નથી.અને તંત્ર જાણે કોઈ મોટી હોનારતની રાહ જોતું હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે.
વાહનચાલક સુરેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આ પુલ ખુબજ સાંકડો છે.જેના ઉપરથી બે મોટા વાહનો પસાર કરવા પણ મુશ્કેલ બને છે.અને સાંકડો પુલ હોવાથી વારંવાર અકસ્માતો સર્જાય છે..પાદરામાં આજે પણ પુલ પડી જવાની ઘટના બની છે અને અગાઉ પણ ગુજરાતમાં પુલ પડી જવાની ઘણી ઘટનાઓ બની ચૂકી છે. અને નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.ત્યારે મેરવાડાનાં આ પુલ પર પણ કોઈ દુર્ઘટના બને તે પહેલા તંત્ર દ્વારા આ પુલ નવો બનાવવામાં આવે તેવી આજુ બાજુનાં ગ્રામજનો તેમજ વાહન ચાલકોની માંગ છે.



