બનાસકાંઠાની આંગણવાડી બહેનોએ બંધમાં જોડાઈ વિરોધ પ્રદર્શન કર્યું
બી.એલ ઓ.ની કામગીરી થોપવા સહિત લેબર કોડ ચારનો વિરોધ
આજે દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો, એલ. આઈ.સી.સહિતના કેન્દ્રીય કર્મીઓ જોડાયા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લાની આંગણ વાડી બહેનોએ પણ ભારત બંધના એલાનમાં જોડાતા વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કેન્દ્ર સરકારની શ્રમિક વિરોધી નીતિ અને ખાનગીકરણ ને પ્રોત્સાહન આપવા સામે દેશના 10 ટ્રેડ યુનિયનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની હજારો આંગણવાડી બહેનો જોડાઈ હતી. જે નવા ચાર લેબર કોડ લાગુ કર્યા છે તેના વિરોધમાં આંગણવાડી બહેનોએ પણ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હોવાનું બનાસકાંઠા જિલ્લા આંગણવાડી કાર્યકર બહેનોના પ્રમુખ ચંપાબેન પરમારે જણાવ્યું હતું.
આંગણવાડી બહેનોની બી.એલ.ઓ તરીકે નિમણુંક કરવા સામે વિરોધનો સૂર ઊઠ્યો છે. લાભાર્થીઓના કે.વાય.સી કરવા સહિત બહેનોનું શોષણ બંધ કરવાની માંગ આંગણવાડી બહેનોએ કરી હતી. માનદ વેતન માં કામના ભારણ તળે દબાયેલી આંગણ વાડી બહેનોએ તેઓને હાઇકોર્ટના હુકમ મુજબ સરકારી કર્મી ગણી કાયમી કરવાની માંગ કરી હતી.

