પાટણ પોલીસની પેરોલ ફર્લો સ્કવોડે 12 વર્ષથી ફરાર એક કેદીને અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી રમેશજી ઉર્ફે ભાણજી અમરાજી ઠાકોર હત્યાના કેસમાં ચાણસ્મા સબ જેલમાં કેદ હતો. 1 મે 2014ના રોજ સવારે 7:30 વાગ્યે દૈનિક ક્રિયા માટે બેરેકમાંથી બહાર નીકળ્યા બાદ તેણે પોલીસની નજર ચૂકવી બાથરૂમ ઉપરના વરંડા પરથી કૂદીને જેલમાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે તેને જેલ ફરારી જાહેર કર્યો હતો.
પકડાયેલો આરોપી અમદાવાદના ધોળકામાં વાદીના ટેકરા વિસ્તારમાં રહેતો હતો અને મૂળ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દાંતરવાડાનો વતની છે. તેની સામે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 અને 224 હેઠળ ગુનો નોંધાયેલો છે. પોલીસ અધિક્ષક વી.કે.નાયકના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ એનાલિસિસ અને માનવ સ્રોતોના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી પોતાની ઓળખ છુપાવવા નામ બદલીને હેવી વ્હીકલ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તે અલગ-અલગ ટ્રાન્સપોર્ટ કંપનીઓમાં માલવાહક ટ્રક ચલાવીને ભારતભરમાં ફરતો હતો. પોલીસે આરોપીને પકડીને બોમ્બે નેશનલ સિક્યુરિટી એક્ટની કલમ 35(1)(જે) હેઠળ અટક કરી છે. તેને બાકીની સજા ભોગવવા માટે પાટણ સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

