યુનિવર્સિટીની કારોબારી બેઠકમાં મહત્વના 15 મુદ્દા પર વિચાર વિમૅશ કરાયો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ ડો.કે.સી.પોરીયાની અધ્યક્ષતામાં ગતરોજ કારોબારી સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં 15 જેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણયો લેવાયા હતા. યુનિવર્સિટી સાથે જોડાયેલી સરકારી કોલેજો પાસેથી રૂ.5,000 નો કોડ ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવાયો હતો. લાઇબ્રેરીયન રજનીભાઈ પટેલનો પ્રોબેશન પિરિયડ પૂર્ણ થતાં તેમને કાયમી કર્મચારી તરીકે નિમણૂક અપાઈ હતી. આ ઉપરાંત ફિક્સ પગારથી ફરજ બજાવતા પાંચ ક્લાર્કને પણ કાયમી કરવામાં આવ્યા હતા.
યુનિવર્સિટીની ERP સિસ્ટમ સંચાલિત કરતી એજન્સીની કામગીરીમાં કેટલીક ખામીઓ અંગે રજૂઆતો આવી હતી. કુલપતિએ આ અંગે કરાવેલી તપાસનો રિપોર્ટ કારોબારીમાં રજૂ કરાયો. રિપોર્ટમાં કરાયેલા સૂચનો અંગે એજન્સીનું ધ્યાન દોરવામાં આવશે. બેઠકમાં કારોબારી સમિતિના સભ્ય અને વાવ રાણા ગજેન્દ્રસિંહના માતૃશ્રીના તાજેતરમાં થયેલા અવસાન અંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. વધુમાં, બે નવા દાતાઓ દ્વારા આપવામાં આવનાર ગોલ્ડ મેડલનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં રજિસ્ટ્રાર ડો.રોહિત દેસાઈ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

