સરકારે કરોડો ફાળવ્યા છતાં બાળકો શુદ્ધ પાણીથી વંચિત ; સરકાર દ્વારા કુપોષણ ઘટાડવા આંગણવાડીઓના બાળકોને યોગ્ય પોષક તત્વો વાળો ખોરાક મળી રહે તેમજ પીવાનું શુદ્ધ પાણી પણ મળી રહે તે માટે આંગણવાડીઓમાં આરો પ્લાન્ટો નાખવામાં આવ્યા હતા. જેમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ એ આરો પ્લાન્ટોનું યોગ્ય સમયે સમારકામ ન થતા હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.જેથી સરકારના કરોડો રૂપિયા જાણે પાણીમાં ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે.બીજી બાજુ ભયંકર ગરમીમાં પણ બાળકો શુદ્ધ પીવાના પાણીથી વંચિત રહી ગયા છે.
ભાભર તાલુકામાં 135 આંગણવાડીઓ આવેલ છે પરંતુ મોટા ભાગની આંગણવાડીઓમાં આરો પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે .જેના કારણે આરો પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.આરો પ્લાન્ટ બંધ હોઈ આંગણવાડીના બાળકોને પીવા માટે સાદું પાણી આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ તો ફાળવવામાં આવે છે પરંતુ એ ગ્રાન્ટથી ખરીદેલી વસ્તુનો યોગ્ય રીતે ઉપયોગ કે જાળવણી ના થાય તો એ વસ્તુ ધૂળ ખાતી પણ જોવા મળતી હોય છે.જેથી કરોડોનો ખર્ચ કરવા છતાં ગરમીમાં પણ બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી.તે હકીકત છે. જેથી વહીવટી અધિકારીઓની લાપરવાહીથી સરકાર બદનામ થઈ રહી છે.

