ડીસા નગરપાલિકા હોલ ખાતે બુધવારે સામાન્ય સભાની બેઠક મળી હતી. આ બેઠકમાં શહીદો અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વિકાસના કામો અંગે ચર્ચાની પણ માંગ કરવામાં આવી હતી. ડીસા નગરપાલિકા ખાતે જનરલ બોર્ડની સામાન્ય સભા યોજાઈ હતી. સભાની શરૂઆતમાં પહેલગામ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા લોકોને અને ડીસાની ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં મૃત્યુ પામેલા 22 લોકોના આત્માને શાંતિ મળે તેમજ ગાયત્રી મંદિર પાસે દિવાલ પડવાના કારણે મૃત્યુ પામેલા મહિલાને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
લગ્નની સિઝન અને વેકેશનના કારણે સભ્યોની પાંખી હાજરી વચ્ચે મળેલી આ સભામાં અધ્યક્ષ દ્વારા ગત સભાના ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા, જેને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ એજન્ડા પરના કામોની ચર્ચા શરૂ થતા વિપક્ષે વિવિધ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી હતી. વિપક્ષ દ્વારા ડીસા શહેરના અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ઓછી લાઈટની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી અને આવા તમામ વિસ્તારોને ઓળખીને યોગ્ય વોલ્ટની લાઈટ લગાવવાની માંગણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત, વિપક્ષી સભ્યોએ ડીસામાં ચાલી રહેલા બાંધકામો દરમિયાન રાખવામાં આવતી બેદરકારી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તાજેતરમાં દિવાલ પડવાના કારણે થયેલા મહિલાના મૃત્યુ જેવી દુર્ઘટના ફરી ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. બગીચા પાસે આવેલી જર્જરિત સરદાર પટેલ હાઈસ્કૂલના મકાનને તોડવાની કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તે માટે પણ યોગ્ય પગલાં લેવા અંગે ચર્ચા કરવાની વિપક્ષની માંગ હતી. જો કે, આ મુદ્દે કોઈ વિસ્તૃત ચર્ચા થઈ શકી ન હતી.

