ડીસા શહેરમાં રસ્તા પર રખડતા ઢોરોની દયનીય હાલત
તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવાની જીવદયા પ્રેમીઓની માંગ; રાષ્ટ્ર માતા ગાયને આપણે પૂજીએ છીએ, પરંતુ શહેરના મધ્યે એક કરુણ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. અહીં, ગાયો કચરાના ઢગલા વચ્ચે બેઠી છે, અને પ્લાસ્ટિક અને ગંદકી ખાવા માટે મજબૂર બની છે. શહેરી વિસ્તારોમાં રસ્તે રખડતી મૂકી દેવાયેલી આ ગાયો અનેક રોગોનો ભોગ બની રહી છે અને અકાળે દુઃખી થઈને મોતને ભેટી રહી છે.
આ સમસ્યા માત્ર ગાયોના જીવન પૂરતી સીમિત નથી. રસ્તા પર રખડતા ઢોરો અવારનવાર દોડધામ મચાવે છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાય છે. અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિક લોકો અને પશુ પ્રેમીઓ આ પરિસ્થિતિથી ખૂબ જ ચિંતિત છે. તેમનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની કામગીરી નિયમિત અને અસરકારક રીતે થતી નથી. પકડાયેલા ઢોરોને રાખવા માટે યોગ્ય વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળે છે.
આ અંગે વાત કરતા એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, “આપણે ગાયને માતા કહીએ છીએ અને પછી તેને આવી હાલતમાં છોડી દઈએ છીએ તે ખૂબ જ દુઃખદ છે. તંત્રએ આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. પશુ ચિકિત્સકોના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિક અને કચરો ખાવાથી ગાયોના પેટમાં ગંભીર ઇન્ફેક્શન અને અન્ય રોગો થાય છે, જે તેમના મૃત્યુનું કારણ બને છે. આ ઉપરાંત, રસ્તા પર રખડતા ઢોરો વાહનો સાથે અથડાઈને પણ મૃત્યુ પામે છે અથવા ગંભીર રીતે ઘાયલ થાય છે.
હવે સમય આવી ગયો છે કે ડીસાનું તંત્ર જાગે અને આ મૂંગા પશુઓની વેદના સમજે રખડતા ઢોરોની સમસ્યાના કાયમી નિવારણ માટે નક્કર યોજનાઓ બનાવવાની અને તેનું યોગ્ય અમલીકરણ કરવાની જરૂર છે. ગાયોને આ કચરાના ઢગલામાંથી મુક્ત કરાવવા અને તેમને સુરક્ષિત જીવન આપવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. સાથે જ, રસ્તા પર રખડતા ઢોરોને નિયંત્રિત કરવા માટે કડક નિયમો બનાવવાની અને તેનું પાલન કરાવવાની પણ એટલી જ જરૂર છે, જેથી ગાય માતા સાથે લોકોના જીવને પણ જોખમથી બચાવી શકાય.


