ડીસા પંથકમાં જોખમી “મોતની મુસાફરી” નો વીડિયો વાયરલ

ડીસા પંથકમાં જોખમી “મોતની મુસાફરી” નો વીડિયો વાયરલ

ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા થયા; બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં જોખમી મુસાફરીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક ઓવરલોડ વાહન તેની ક્ષમતા કરતાં અનેક ગણા વધુ મુસાફરો ભરીને બેફામ દોડતું જોવા મળી રહ્યું છે. “મોતની મુસાફરી” તરીકે ઓળખાતા આ વીડિયોએ કાયદાનો સરેઆમ ભંગ કરતા વાહન ચાલકો સામે પોલીસની કાર્યવાહી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, વાહન ચાલક નિર્લજ્જતાપૂર્વક ગાડીની ક્ષમતા કરતાં અનેક ગણા વધુ મુસાફરોને, જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હોઇ શકે છે, તેમને જોખમી રીતે બેસાડીને પસાર થઈ રહ્યો છે. આ દ્રશ્યો ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે અને મુસાફરોના જીવને ગંભીર જોખમમાં મૂકી રહ્યા છે. વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો એટલા ભયાવહ છે કે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? તે મોટો પ્રશ્ન છે. આવા ઓવરલોડ વાહનો માર્ગો પર “ટાઈમ બોમ્બ” સમાન સાબિત થઈ શકે છે.

આ વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત સ્થાનિક પોલીસની કામગીરી અને ફરજ પરસ્તી સામે અનેક સવાલો ઉભા થયા છે. લોકો આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે કે, આવા ઓવરલોડ વાહનો ખુલ્લેઆમ રસ્તાઓ પર દોડી રહ્યા છે અને પોલીસ કોઈ કડક કાર્યવાહી કરતી નથી. પોલીસની રહેમ નજર કે નિષ્ક્રિયતાને કારણે આવા વાહન ચાલકો બેફામ બન્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આવા કાયદા ભંગ કરનાર વાહન ચાલકો સામે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? તે જોવું રહ્યું.

નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ઓવરલોડ મુસાફરો ભરીને દોડતા વાહનોના અનેક વીડિયો ભૂતકાળમાં પણ વાયરલ થયા છે. આવા વાહનોના કારણે અકસ્માત સર્જાવાની અને નિર્દોષ લોકોના મોત થવાની શક્યતા હંમેશા રહેલી હોય છે. અગાઉ પણ આવા બનાવોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના દાખલા મોજુદ છે.

નિર્દોષ લોકોના જીવનો સવાલ, કડક કાર્યવાહીની માંગ; જો આવા ઓવરલોડ મુસાફરો ભરીને દોડતા વાહનને કોઈ અકસ્માત સર્જાય અને નિર્દોષ લોકો મોતને ભેટે, તો તેની જવાબદારી કોની રહેશે? પોલીસ, આરટીઓ (પ્રાદેશિક પરિવહન કચેરી), કે વાહનચાલક? આ એક ગંભીર પ્રશ્ન છે, જેના પર ત્વરિત ધ્યાન આપવાની અને કડક કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે. પ્રશાસન દ્વારા આવા જોખમી વાહન ચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે સુનિશ્ચિત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી, દોષિતો સામે પગલાં લેવામાં આવે તે અતિ આવશ્યક છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *