રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકારી લીધું છે. ધનખડે સોમવારે સાંજે સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા રાજીનામા પત્રમાં જગદીપ ધનખડે કહ્યું, “હું મારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને ડોકટરોની સલાહનું પાલન કરવા માટે તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.” તેમણે પોતાના પત્રમાં બંધારણની કલમ 67 (A)નો ઉલ્લેખ કર્યો છે.
જગદીપ ધનખરના રાજીનામા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘શ્રી જગદીપ ધનખરજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની તક મળી છે. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.’ પીએમ મોદીએ ધનખરના લાંબા જાહેર જીવન અને તેમની સેવાઓની પ્રશંસા કરી.
મંગળવારે, રાજ્યસભામાં ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક સૂચના વાંચવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જગદીપ ધનખડનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવ્યું છે. સત્રની અધ્યક્ષતા કરી રહેલા ઘનશ્યામ તિવારીએ બપોરે 12 વાગ્યે પ્રશ્નકાળ દરમિયાન ગૃહને આ માહિતી આપી. તેમણે કહ્યું, ‘ગૃહ મંત્રાલયે 22 જુલાઈ, 2025 ના રોજ જારી કરાયેલ એક સૂચનામાં જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું બંધારણની કલમ 67 (A) હેઠળ તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવ્યું છે.’

