વાવ થરાદ તાલુકા પંચાયત કચેરીમાં લાગેલી ફાયર સેફટી સિસ્ટમમાં ગંભીર બેદરકારી બહાર આવી છે. કચેરીના અલગ અલગ વિભાગોમાં લગાવવામાં આવેલી અંદાજિત ૮ જેટલી ફાયર સેફટી બોટલો એક્સપાયર હાલતમાં જોવા મળી છે. જેથી રોજિંદા હજારોની સંખ્યામાં આવતી પબ્લિક, કર્મચારી વર્ગ અને અધિકારીઓના જીવ સામે સીધો ખતરો ઉભો થયો છે.
થરાદ શહેર આજે જિલ્લાનું મુખ્ય મથક બન્યું હોવા છતાં પ્રાથમિક સુરક્ષા અને સુવિધાઓનો અભાવ સ્પષ્ટ જોવા મળે છે ફાયર સેફટી બોટલોની એક્સપાયરી ડેટ પૂરી થયાને છ મહિના વીતી ગયા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલા લેવાયા નથી. જો કોઈ કારણોસર કચેરીમાં આગ લાગે ત્યારે આ બોટલો શોભાના ગાંઠીયા સમાન લટકતી રહે તેમ છે.
જોકે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને ટેલીફોનિક પૂછતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આમાં કોઈ એજન્સી નથી અમે ડાયરેક્ટ રિફિલિંગ કરાવીએ છીએ.પરંતુ સુરક્ષા જેવી સંવેદનશીલ બાબતમાં તંત્રની બેદરકારી દુર્ઘટનાને આમંત્રણ આપે તેમ છે ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સંબંધિત અધિકારીઓએ પણ તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ફાયર સેફટી બોટલોનું નિરીક્ષણ કરી નવી બોટલો તરત જ લગાવવી જોઈએ, તેવી જનતાની માંગ છે.

