વહીવટી તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની ઉદાસીનતાથી લોકો ત્રાહિમામ
ડીસાના શિવનગર વિસ્તારના મુખ્ય રોડ પર શુક્રવારે ભૂગર્ભ ગટર ઉભરાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભૂગર્ભ ગટરમાંથી બહાર આવેલું ગંદુ પાણી રોડ પર ફરી વળતા પારવાર દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી સામાન્ય જનજીવન મુશ્કેલ બની ગયું છે. ગટરના આ ઉભરાવને કારણે શિવનગર વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ગંભીર ભય સેવાઈ રહ્યો છે. ચોમાસા જેવી સ્થિતિમાં આ ગંદકી મચ્છરો અને અન્ય જીવાણુઓને આમંત્રણ આપી શકે છે, જે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોને નોતરી શકે છે. સ્થાનિકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
આવી ગંભીર સ્થિતિમાં ડીસા નગરપાલિકાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય જણાતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, હાલમાં પાલિકાના સેનિટેશન વિભાગના કર્મચારીઓ રજા ઉપર છે, આ ઉપરાંત ચીફ ઓફિસર પણ રજા પર હોવાથી ફરિયાદ કરવી અને તાત્કાલિક સમાધાન મેળવવું મુશ્કેલ બન્યું છે. ભૂગર્ભ ગટર સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવનાર કોન્ટ્રાક્ટર પણ પોતાની ફરજમાં ઘોર બેદરકારી દાખવી રહ્યા હોવાની બૂમો ઉઠવા પામી છે. કોન્ટ્રાક્ટરની ઉદાસીનતાના કારણે જ વારંવાર ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાય છે, પરંતુ વહીવટી તંત્ર આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ પગલાં લેતું નથી. આના પરિણામે શહેરમાં સ્વચ્છતાના નામે મીંડું છે અને લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે.
શિવનગર વિસ્તારના રહીશોએ આ ગંભીર સમસ્યા અંગે તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે ભૂગર્ભ ગટરની સફાઈ કરાવે તેવી આક્રમક માંગ કરી છે. જો વહેલી તકે આ ગંદકી દૂર કરવામાં નહીં આવે તો વિસ્તારમાં ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. વહીવટી તંત્રએ તાત્કાલિક રજા પરના અધિકારીઓના વિકલ્પો ગોઠવીને અથવા કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપીને આ સમસ્યાનું નિવારણ લાવવું અત્યંત જરૂરી છે. શું વહીવટી તંત્ર ગંદકીની આ ગંભીર સમસ્યા અને રોગચાળાના ભયને ધ્યાનમાં લઈને કોઈ નક્કર પગલાં લેશે કે પછી શિવનગરના રહીશોને દિવાળીના સપરમાં દિવસોમાં પણ આવી જ રીતે નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર કરશે ?

