(જી.એન.એસ),તા.૨૮
રાજકોટ/અમદાવાદ
ED અમદાવાદ ઓફિસે સ્પેશિયલ PMLA કોર્ટ સમક્ષ મનસુખ સાગઠિયા અને અન્ય બે સામે મની લોન્ડરિંગ પ્રતિબંધ કાયદાની જોગવાઈઓ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. EDએ ACB રાજકોટ દ્વારા નોંધાયેલા FIR પર આધારિત તપાસ હતી. આ FIRમાં મનસુખ સાગઠિયા જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, તેમના વર્ષ 2012થી 2024ના ચેક-પિરિયડ દરમિયાન 24.31 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિ એકત્ર કરી હોવાનું જણાવાયું હતું.
EDની તપાસમાં ખુલ્યું કે, મનસુખ સાગઠિયાએ વર્ષ 2015થી 2022 દરમિયાન રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં તેના પુત્ર કેયુર સાગઠિયા અને પત્ની ભાવના સાગઠિયાના નામે અનેક રિકરિંગ ડિપોઝિટ ખાતાઓ રાખ્યા હતા. આ RD ખાતાઓની સ્ટેટમેન્ટની તપાસમાં જાણવા મળ્યું કે, તમામ ડિપોઝિટ નિયમિત રીતે કેશમાં કરવામાં આવી હતી. પછી આ RD ખાતાઓ બંધ કરી મળેલી રકમથી ઈમુવેબલ પ્રોપર્ટીની ખરીદી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મનસુખ સાગઠિયાએ અનેક ઇમુવેબલ અને મુવેબલ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હતું અને તેમના તથા તેમની પત્ની અને પુત્રના નામે આવેલા અનેક બેંક ખાતાઓનો ઉપયોગ તેમાં કર્યો હતો. અત્યાર સુધી થયેલી તપાસમાં કુલ 21.61 કરોડની રૂપિયા પ્રોપર્ટી જેવી કે રોકડ, સોનું, હીરા, ચાંદીના દાગીના, વિવિધ દેશોની કરન્સીના નોટો, મોંઘી ઘડિયાળો અટેચ કરાઈ છે.

