બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક પાલનપુર ખાતે આવેલ પંચરત્ન શોપિંગ સેન્ટરમાં અનેક વેપારીઓની દુકાનો આવેલી છે.જ્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતાં હોય છે.જો કે ચોમાસા દરમિયાન શોપિંગ સેન્ટરની અંદર આવેલી એ.બી.સી.અને ડી. લાઈનની દુકાનો આગળ વરસાદી પાણી ભરાતાં ગ્રાહકો સહિત દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે.જેથી વેપારીઓ નગરપાલિકા દ્વારા સત્વરે આ વરસાદી પાણીનો નિકાલ કરાવવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.
પાલનપુર ખાતે આવેલ પંચ રત્ન શોપિંગ સેન્ટર ખાતે દુકાનો ધરાવતાં વેપારીઓએ જણાવ્યું હતું કે પંચરત્ન શોપિંગ સેન્ટરમાં આવેલી એ.બી.સી.અને ડી. લાઈનની દુકાનોમાં વરસાદી પાણી ભરાતાં અમો વેપારીઓ છેલ્લાં ચાર વર્ષથી અરજીઓ કરી હોવા છતાં હજી સુધી વરસાદી પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી.અમારી સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે એવી અમારી વેપારીઓની માંગ છે. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકીએ જણાવ્યું હતું કે પંચરત્ન શોપિંગમાં વરસાદી પાણી મુદ્દે અગાઉ એક વખત રજુઆત આવી હતી.ત્યારે માણસો મૂકીને પાણી નિકાલ કરાયો હતો.અને હાલ જો વરસાદી પાણી ભરાયેલ હશે તો તેનો નિકાલ કરવામાં આવશે.

