કેલિફોર્નિયામાં રહેતા પાટણ પ્રજાપતિ પરિવારના સભ્યોએ પ્રસંગને દીપાવવા જહેમત ઉઠાવી; અમેરિકાના કેલિફોર્નિયામાં વસવાટ કરતા ભારતીય નાગરિકો દ્વારા ત્યાના હિંદુ મંદિરમાં ત્રિદિવસીય ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્ધાજી ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી ભક્તિ સભર માહોલમાં કરવામાં આવી હોવાનું ત્યાં વસવાટ કરતા ભારતીય પરિવાર દ્વારા જાણવા મળ્યું છે.
અમેરિકાના કેલિફોર્નિયા માં રહેતા પાટણ પ્રજાપતિ સમાજના સેવાભાવી અગ્રણી વિનોદભાઈ ભોગીલાલ પ્રજાપતિએ ભગવાન શ્રી જગન્નાથજી ના વિદેશની ધરતી પર હિન્દુ મંદિરમાં આયોજિત ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ની ટેલીફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે અમેરિકાના કેલિફોર્નિયામાં મોટાભાગના ભારતીય નાગરિકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે ભારતીય નાગરિકોની ઈચ્છા અનુસાર ભારતીય સનાતન સંસ્કૃતિને વિદેશની ધરતી પર જીવંત રાખવા ઓરિસ્સા ખાતે તૈયાર કરવામાં આવેલ ભગવાન જગન્નાથજી,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્ધાજી ની પ્રતિમા ને વૈદિક મંત્રોચ્ચાર સાથે લાવી પ્રથમ દિવસે તેની પૂજા-અચૅના અને ૧૫૧ કળશ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
બીજા દિવસે મંદિર પરિસરમાં ત્રણેય પ્રતિમાઓની ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અને ત્રીજા દિવસે મંદિર પરિસરમાં હવન – યજ્ઞ સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. અમેરિકાના કેલિફોર્નિયા ખાતે આયોજિત આ ત્રિ- દિવસીય ધાર્મિક ઉત્સવમાં હિંદુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને પાટણના વતની પૂનમચંદ્રભાઇ પ્રજાપતિ, રામુભાઈ પ્રજાપતિ સહિત પ્રજાપતિ ગૃપના સેવાભાવી પરિવારજનો એ સહભાગી બની પ્રસંગને યાદગાર બનાવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.


