જિલ્લાના પક્ષકારો સંબંધિત કોર્ટમાં વિવિધ સમાધાન લાયક કેસ મૂકી શકશે; આગામી તારીખ ૧૨ જુલાઈ ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ,નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાલનપુરના ઉપક્રમે પાલનપુરની કોર્ટમાં તથા બનાસકાંઠા જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં વર્ષ ૨૦૨૫ની બીજી નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે.
આ લોક અદાલતમાં નાગરિકો સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદૂર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસૂલી દાવા તથા દીવાની તકરારના દાવા સમાધાન માટે મૂકી શકાશે.
જે કોઈપણ પક્ષકારોને તેમના સમાધાન પાત્ર કેસ સમાધાન માટે મુકવા માંગતા હોય, તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસની વિગત સહિત સંબંધિત કોર્ટનો સંપર્ક કરવાનો રહેશે. તાલુકામાં કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુરના સચિવ કે.કે.પટેલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

