ગુજરાત સરકાર દ્વારા મહેસાણા જિલ્લાના ઐતિહાસિક અને પૌરાણિક વડનગર શહેરને વૈશ્વિક સ્તરે લઈ જવા વિશેષ પ્રોજેક્ટ, અમલમાં મૂકવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત આવનારા સમયમાં વડનગર ગુજરાતનું પ્રથમ દબાણ અને ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવા જઈ રહ્યું છે. જેમાં વડનગર શહેરના વિકાસ કર્યોમાં અડચણરૂપ 15 જેટલા સ્લમ વિસ્તારના 300 થી પણ વધુ દબાણ દૂર કરી શહેરના વિવિધ માર્ગોનું નવીનીકરણ તેમજ વિસ્તૃતિકરણ કરવામાં આવનાર છે. જ્યાં બગીચો, પ્લેગ્રાઉન્ડ, પાથરણાં બજાર, કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામા આવનાર છે. શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા જે લોકો બે ઘર બને તેમના માટે નવા આવાસ બનાવી આપવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચોમાસા બાદ આ કામગીરી હાથ ધરવામા આવનાર છે.
વડનગરના વિકાસને વધુ સુદ્રઢ બનાવવા માટે વિશેષ કમિટી પણ બનાવવામાં આવી છે, જે કમિટીમાં જિલ્લા કલેકટર, મહેસાણા (અધ્યક્ષ) પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની ઝોનલ કચેરી,ગાંધીનગર (સભ્ય), નિવાસી અધિક કલેકટર, મહેસાણા (સભ્ય), જિલ્લા નગર આયોજન અધિકારી,મહેસાણા (સભ્ય),ચીફ ઓફિસર,વડનગર પાલિકા,સભ્ય સચિવ) રહેશે. આ કમિટીએ નીચે મુજબના કાર્યો કરવાના રહેશે શહેરના નવિનવિકાસ કામોના પ્રોજેક્ટમાં નડતરરૂપ દબાણો દૂર કરી અસરગ્રસ્ત કુટુંબો પૈકી પાત્રતા ધરાવતા કુટુંબોની આખરી યાદી બનાવવી. અસરગ્રસ્ત ઝુંપડવાસીઓની જમીનની ઓળખ કરવી, જમીન મેળવવાની યાદી બનાવવી આ ઉપરાત પાલિકા દ્વારા કરવામાં આવેલ સ્લમ સર્વેને મંજૂરી આપવામાં આવશે. ફેઝ વાઈઝ ઝુંપડપટ્રી દૂર કરાવી તેમને પાકા મકાનો મળે તે મુજબનું આયોજન કરવાનું રહશે.
આ સીવાય સમગ્ર કામગીરી દરમિયાન ગુણવત્તાના ધોરણો જળવાય તે માટે દેખરેખ રાખી ઝુંપડપટ્ટી વાસીઓને હયાત જગ્યાએથી ખસેડી તેમના માટે પાકા આવાસ નિર્માણ ન થાય ત્યાં સુધી હંગામી રહેણાંકની વ્યવસ્થા કરાવવાની અથવા ઝુંપડપટ્ટીમાં વસતા કુટુંબ દીઠ ભાડાની રકમ નક્કી કરી પ્રતિમાસ ભાડાની રકમ ફાળવવાની વ્યવસ્થા કરવાની જવાબદારી ઉપરોક્ત કમિટીની જવાબદારીનો ભાગ રહેશે. તાજેતરમાં મળેલી સમિતિની બેઠકમાં 300 પરિવારોને આવાસની નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી કમિટિ દ્વારા મંજૂર કરાતાં સ્લમ વિસ્તાર મુક્ત શહેરની કામગીરીને વધુ વેગ મળશે.

