શાળાએ જતા બાળકો નદીના પટમાંથી જોખમી રીતે પસાર થવા મજબુર
બનાસકાંઠામાં ભારે વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ જવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અનેક રોડ રસ્તા બંધ થઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પાલનપુર તાલુકાના કુંપરથી ધાણધા જવાના ઉંમરદસી નદી પર આવેલો કોઝવે ધોવાયો છે. જેના કારણે અનેક વાહન ચાલકો, રાહદારીઓ, શાળાએ જતા બાળકો અટવાયા છે. દર વર્ષે ચોમાસામાં ઉમરદસી નદીમાં પાણી આવે છે અને કોઝવે ધોવાઈ જાય છે તેના કારણે લોકોની અવરજવર બંધ થઈ જાય છે.વર્ષોથી લોકોની માંગ છે કે આ નદી ઉપર પુલ બનાવવામાં આવે પરંતુ આજદિન સુધી પુલ બનાવવામાં આવ્યો નથી. ત્યારે હાલ તો લોકો જીવના જોખમે નદીના પટમાંથી પસાર થઈ રહ્યા છે. અને આ નદી ઉપર પુલ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
પાલનપુર તાલુકાના કુંપર અને ધાણધા ગામને જોડતો કોઝવે ધોવાઈ જતા અનેક વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોઝવે તૂટી જતા હાલ લોકો નદીના પટમાંથી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે અને સ્કૂલ જતા બાળકો પણ રેતીના પટમાંથી પસાર થઈ રહ્યા છે. અનેક વાહનો રેતીમાં ફસાઈ રહ્યા છે બાળકોને સાયકલ લઈને રેતીમાંથી પસાર થઈને સ્કૂલે જવું પડે છે ત્યારે આ કોઝવે ધોવાઈ જતા હાલ લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. પશુપાલકોના ખેતરો ત્યાં આવેલા છે જ્યાંથી નદી આવે ત્યારે દૂધ ભરાવવા પણ જઈ શકતા નથી અનેક લોકો બાજુમાં આવેલા ધાણધા ગામે ખરીદી કરવા કે દવાખાને જવું હોય તો પણ અટવાઈ જાય છે અનેક બાળકો ધાણધા ગામે અભ્યાસ કરે છે ત્યારે ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવે તો જઈ શકતા નથી. ત્યારે આ સમસ્યાને લઈને વર્ષોથી ગ્રામજનો પુલ બનાવવાની માગણી કરી રહ્યા છે.પરંતુ હજુ સમસ્યાનો અંત આવતો નથી.
રાજ્ય સરકાર દ્વારા 14.50 કરોડના ખર્ચે નવીન પુલ મંજુર કરાયો
જોકે વર્ષો જૂની આ સમસ્યાને લઇ થોડા મહિના પહેલા આ કુંપર ધાણધા માર્ગ ઉપર 14.50 કરોડના ખર્ચે પુલ મંજૂર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે લોકોની માંગ છે કે, ઝડપથી આ પુલનું કામ શરૂ કરવામાં આવે તો લોકોને આ વર્ષો જૂની સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે.
Beta feature


