કાંગ્રેસના વાવ-થરાદ જિલ્લા મહિલા પ્રમુખ આગેવાનની બહાદુરી ફરી ચર્ચામાં
થરાદ પંથકમાં આજે નર્મદા મુખ્ય કેનાલમાંથી એક યુવાનનો મૃતદેહ મળતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં કેનાલ પાસે એકત્રિત થયા હતા. આ દરમિયાન તરવૈયા સુલતાન મીર તેમજ વાવ થરાદ જિલ્લા કાંગ્રેસના મહિલા પ્રમુખ ગીતાબેન નાઈએ માનવતા દાખવી કેનાલમાં પડેલા મૃતદેહને શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. બંનેના સંયુક્ત પ્રયત્નોથી કેનાલમાં શોધખોળ કરી અંતે યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. યુવાનની ઓળખ દેવાભાઈ માલાભાઈ માજીરાણા મૂળ રહેવાસી ભાચલી ગામનો અને હાલ થરાદમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
આ સમગ્ર કામગીરી દરમિયાન મહિલા પ્રમુખ ગીતાબેન નાઈએ દેખાડેલી બહાદુરી પંથકમાં ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. અગાઉ પણ અનેક પ્રસંગોએ પુરુષો માટે મુશ્કેલ ગણાતા કામોમાં ગીતાબેન નાઈએ આગળ આવી હિંમતપૂર્વક કામગીરી કરી સમાજમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બનાવ અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી. અને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

