થરાદ તાલુકાને “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત ૬ ઇન્ડિકેટર્સમાં નોંધપાત્ર સિદ્ધિ બદલ રાજ્ય કક્ષાનો પુરસ્કાર

થરાદ તાલુકાને “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત ૬ ઇન્ડિકેટર્સમાં નોંધપાત્ર સિદ્ધિ બદલ રાજ્ય કક્ષાનો પુરસ્કાર

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં “સંપૂર્ણતા અભિયાન” કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ અને આદિવાસી વિસ્તારના જનસામાન્ય સુધી અભૂતપૂર્વ રીતે સેવાઓના સમગ્ર વિસ્તાર સુધી પહોંચ માટે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા આયોજિત “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત બનાસકાંઠા જિલ્લાને નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

એસ્પિરેશનલ બ્લોક હેઠળ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુલાઈ-૨૦૨૪થી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીના ત્રણ માસ દરમિયાન આયોજિત “સંપૂર્ણતા અભિયાન”માં બનાસકાંઠા જિલ્લામાં આશાજનક કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નક્કી કરાયેલા ૬ ઇન્ડિકેટર્સમાંથી એસ્પિરેશનલ બ્લોક થરાદ તાલુકામાં તમામ કુલ ૬ ઇન્ડિકેટર્સમાં સેચ્યુરેશનની સિદ્ધી હાંસલ કરાઈ હતી. આ શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલને ગોલ્ડ મેડલ અને સન્માનપત્ર પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાની આ સિદ્ધિને બિરદાવીને જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોને સરાહનીય ગણાવ્યા હતા.

જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, આ અભૂતપૂર્વ સિદ્ધિથી બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત વહીવટી તંત્રની કામગીરીને વધુ મજબુતી મળી રહેશે. આ સન્માન બનાસકાંઠા જિલ્લા માટે ગર્વની ક્ષણ છે અને તે જિલ્લાના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે તેમણે આ સિદ્ધિ બદલ કાર્ય કરનારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. સંપૂર્ણતા અભિયાન દેશના આકાંક્ષી જિલ્લા તથા તાલુકાઓમાં આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ, સ્વ-સહાય જૂથો વગેરે જેવા ક્ષેત્રોમાં ચોક્કસ ઇન્ડિકેટર્સ હેઠળ છેવાડાના નાગરિકોને આવરી લેવાના હેતુથી યોજવામાં આવ્યું હતું. થરાદ તાલુકાની આ ઉપલબ્ધિએ આકાંક્ષી બ્લોક તરીકે રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે જિલ્લાના નામને ગૌરવ અપાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *