દીઓદરના ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા પરમાર રજનીભાઈ હમીરભાઈ પરિવાર સહિત અગાશી પર સુતા હતા. તે દરમ્યાન તેમના રહેણાંકના મકાનનો દરવાજો ખોલી અંદર પ્રવેશી તીજોરીમાં મુકેલા રૂા.ર લાખ રોકડા, સોનાનો દોરો, ચેઈન, સેટ, બુટી મળી છ તોલા જેટલા સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી નાસી છુટેલ. તેમજ બાજુમાં જ રહેતા જયેશભાઈ દેવરામભાઈ પુરોહિતના મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશી તીજોરીમાં પડેલા સાડા ત્રણ તોલા સોનાના દાગીનાની ચોરી કરી નાસી છુટેલ હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે પરીવાર ઉઠી ઘરોમાં પ્રવેશતા તિજોરી અને અન્ય સામાન વેર વિખેર જોવા મળતા ચોરી થયાનું જાણવા મળ્યું હતું. દિયોદર પોલિસ મથકે લેખિત રજૂઆત કરાઈ છે.
દસેક દિવસ અગાઉ પણ દીઓદરના ઓમકાર નગરમાં થયેલ ઘરફોડ ચોરીનો બનાવ કાગળ ઉપર દોડી રહ્યો છે.તેથી દિયોદર પંથકમાં ચોરોને જાણે કે છૂટોદોર મળ્યો હોવાનું પ્રજાજનો મહેસૂસ કરી રહ્યા છે. દિયોદરમાં ચોરીના બનાવોનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. દિયોદરમાં ચોર ટોળકી સક્રિય થઈ છે. પરિવારના લોકો અગાશી પર સુતા રહ્યા અને અજાણી ચોર ટોળકીએ ચોરીનો મોટો હાથ ફેરો કરી મોટી ચોરીનો અંજામ આપી ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી. એક ઘરમાં બે લાખ રોકડા રૂપિયા અને સોનાના દાગીના સહિત અંદાજિત પાંચ લાખ ઉપરાંતની ચોરી કર્યાનું પીડિત જણાવી રહ્યા છે.
દિયોદરમાં પોલીસનું નાઈટ પેટ્રોલીંગ હોવા છતાં દિયોદરમાં છેલ્લાં અઠવાડિયાથી ઘર ફોડ ચોરીઓ બનવાની ઘટના વધતી જઈ રહી છે. જે નાઇટ પેટ્રોલીંગ સામે પ્રશ્નાર્થ છે. ઘરને નિશાન કરી ચોરીઓ કરતી ચોર ટોળકી સક્રિય થતા સોસાયટીઓના ઘરોને નિશાન બનાવી ચોરીનો અંજામ આપતા શહેરના લોકોમાં ફફડાટ ફેલાયો છે.


