આરોપીઓને ઝડપી લઈ કઠોર સજા કરવાની માંગ; અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોળા દિવસે સિંધી સમાજના વિદ્યાર્થીની કરાયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે સિંધી સમાજે કલેકટરને આવેદન પત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી.
અમદાવાદના મણિનગરમાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે. જેમાં ધો.10માં અભ્યાસ કરતા સિંધી સમાજના આશાસ્પદ યુવાન નયન સંતાણીની ઘાતકી હત્યા થઈ હતી. જે બનાવને પગલે વિદ્યાર્થીઓની સલામતીને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે. ત્યારે આ હત્યાને વખોડી કાઢતા પાલનપુર સિંધી સમાજે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં શાળા-કોલેજોમાં બનતી ગુના ખોરીની ઘટનાઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરાઈ હતી. આ હત્યાના ગુનાના આરોપીઓને ઝડપી લઈ કઠોર સજા કરવાની માંગ કરાઈ હોવાનું સિંધી સમાજના અગ્રણી ગિરધારીલાલ ગેહાનીએ જણાવ્યું હતું. આ ઘટનામાં શાળા સંચાલકો સામે પણ પગલાં ભરવા ની માંગ કરતા સિંધી સમાજે મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પિ હતી. આ કાર્યક્રમમાં ભાજપ અગ્રણી અંબાલાલ રંગવાણી, ગિરધારી લાલ ગેહાની, ઠાકોરદાસ ખત્રી, જયાબેન, પરમેશ્વરીબેન સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

