બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક શિહોરી વર્ષોથી એસટી બસ સ્ટેન્ડની સુવિધાથી વંચિત રહ્યું છે, જેના કારણે તાલુકાની જનતા, વેપારીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.અગાઉ શિહોરી ખાતે જૂનું બસ સ્ટેન્ડ કાર્યરત હતું, જ્યાંથી બસોની આવન-જાવન થતી હતી. પરંતુ હાલ એસટી બસો હાઈવે પરથી સીધી પસાર થતી હોવાથી ગામથી દૂર બસ પકડવા જવું પડે છે. ખાસ કરીને વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને લાંબું અંતર કાપવું પડે છે તેમજ વધારાના વાહન ભાડાનો બોજ સહન કરવો પડે છે.
બસ સ્ટેન્ડના અભાવે શિહોરી શહેરના વેપાર અને વિકાસ પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે. તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, કોર્ટ, પાણી પુરવઠા કચેરી તેમજ શિક્ષણ સંબંધિત કામો માટે આવતા ગ્રામ્ય વિસ્તારોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા વર્ષોથી માંગ કરવામાં આવી રહી છે કે શિહોરીના જૂના બસ સ્ટેન્ડનું રીનોવેશન કરીને ફરી શરૂ કરવામાં આવે તેમજ સરકાર દ્વારા જમીન ફાળવીને આધુનિક એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવે. હાઈવે નજીક બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો જનતાને વધુ સુવિધા મળશે અને વેપાર-ધંધામાં પણ વધારો થશે.
વિધાનસભામાં શિહોરી ખાતે બસ સ્ટેન્ડ બનાવવા અંગે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા જમીન ઉપલબ્ધ થશે તો બસ સ્ટેન્ડ બનાવવાની ખાતરી આપવામાં આવી છે.શિહોરી અને કાંકરેજ તાલુકાની જનતા દ્વારા સરકારને તાત્કાલિક યોગ્ય જમીન ફાળવીને શિહોરી ખાતે આધુનિક બસ સ્ટેન્ડ નિર્માણ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

