ખોટા અરજદારો સામે કડક અને નકકર કાર્યવાહી કરવાની માગ કરી
પાટણ અને સિદ્ધપુર વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોના નામ કમી કરવા માટે હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ (ફોર્મ-7) રજૂ કરવામાં આવી છે. આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તેને લોકશાહીના મતાધિકારને દૂષિત કરવાનો પ્રયાસ ગણાવી કલેક્ટરને રજૂઆત કરી છે.
બીજી તરફ, વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે તમામ અરજીઓનું ફિલ્ડ વેરિફિકેશન અને સુનાવણી બાદ જ યોગ્ય નિર્ણય લેવાશે.પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ વિધાનસભા બેઠક પર મતદાર યાદી માંથી નામ કમી કરવા માટે કુલ 6,532 વાંધા અરજી મળી છે. સિદ્ધપુર વિધાનસભામાં પણ 25,000થી વધુ આવી અરજીઓ રજૂ થઈ હોવાનું ધારાસભ્યએ જણાવ્યું છે. આમ, બંને બેઠક પર કુલ 31,000 થી વધુ અરજીઓ સામે આવી છે.પાટણના પ્રાંત અધિકારી હિરેન ચૌહાણે વિગતો આપતા જણાવ્યું હતું કે, પાટણ વિધાનસભાની 6,532 અરજીઓ પૈકી પાટણ શહેરની 4,622, સરસ્વતી તાલુકાના ગામોની 954 અને પાટણ ગ્રામ્ય વિસ્તારની 956 અરજીઓનો સમાવેશ થાય છે.
વહીવટી પ્રક્રિયા મુજબ,આ તમામ અરજીઓનું ફિલ્ડ વેરિફિકેશન કરવામાં આવશે. જો કોઈ મતદારનું નામ કમી કરવા પાત્ર જણાશે તો સંબંધિત વ્યક્તિને નોટિસ આપી,સુનાવણી યોજીને જ આગળની કાર્યવાહી કરાશે.આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદારોના અધિકારો પર તરાપ મારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ધારાસભ્યએ આક્ષેપ કર્યો કે એક મહિના પહેલાપાટણ અને અન્ય વિસ્તારોમાં બીએલઓની મીટિંગમાં ભાજપના હોદ્દેદારો દ્વારા ચોક્કસ સમાજ અને કોંગ્રેસના સમર્થકોના નામ કમી કરવા સૂચના અપાઈ હતી.ધારાસભ્ય પટેલે વધુમાં ઉમેર્યું કે આ મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું વ્યવસ્થિત કાવતરું છે. તેમણે માંગ કરી કે જો ખોટા વાંધા રજૂ કરનારાઓ સામે વહીવટી તંત્ર પોલીસ કાર્યવાહી નહીં કરે, તો તેઓ કોર્ટ અથવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે.
સ્થાનિકોએ પણ આ પ્રક્રિયા સામે રોષ વ્યક્ત કર્યો છે. રણુજ ગ્રામ પંચાયતના સદસ્ય મહંમદ રફીક મોમીને જણાવ્યું કે તેમના વોર્ડ નંબર 1 માં 96 મતદારો સામે વાંધા અરજીઓ આવી છે, જેમાં અરજદારના મોબાઈલ નંબર પણ ખોટા લખાયા છે. વદાણી (લક્ષ્મીપુરા) ના અઝહરભાઈ માણસિયાએ આક્ષેપ કર્યો કે તેમના બૂથ નંબર 40 માં લગભગ 50% નામો કમી કરવા માટે વાંધા અરજીઓ અપાઈ છે. મતદારોએ માંગ કરી છે કે વહીવટી તંત્રે વાંધો રજૂ કરનાર વ્યક્તિને તેમની સામે લાવીને જવાબ આપવાની તક આપવી જોઈએ.

