શ્રીયંત્રાર્નવતંત્રમ્ શ્રીયંત્ર અને દેવીઓના ગુપ્ત રહસ્યો પર આધારિત ગ્રંથ; ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ના પાવન મહોત્સવમાં શ્રીયંત્રાર્નવતંત્રમ્ – શ્રીયંત્ર અને દેવીઓના ગુપ્ત રહસ્યોનું સંકલનયુક્ત પુસ્તકનું વિમોચન અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના વરદ્દહસ્તે કરાયું હતું. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્ઞાન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉમેરો તરીકે લેખક દિપેશ પટેલ દ્વારા શ્રીયંત્રાર્નવતંત્રમ્ નામક ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં શ્રીયંત્ર અને તેમાં વર્ણવેલ દેવીઓ વિશેનું સમગ્ર અને સ્પષ્ટ વર્ણન આપવામાં આવ્યું છે.
શ્રીયંત્રને “યંત્રરાજ” તરીકે ઓળખવામાં આવે છે, જે બ્રહ્માંડનું પ્રતિબિંબ અને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. આ ગ્રંથમાં શ્રીયંત્રના દરેક આવરણ, તેમાં સ્થાપિત દેવીઓ, તેમની વિશેષતાઓ અને પ્રતિકાત્મક અર્થને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે. પુસ્તકમાં લેખકનો ધ્યેય એ છે કે, શ્રીયંત્ર વિશેનું પ્રામાણિક અને વિશાળ જ્ઞાન દરેક વાંચક સુધી પહોંચે. શ્રીયંત્રાર્નવતંત્રમ્ સામાન્ય વાચકોને પણ શ્રીયંત્રને સમજવા અને તેના દિવ્ય અર્થને જાણી શકવા માટે સહાયરૂપ છે.
લેખક દિપેશ પટેલ જણાવે છે કે, આ ગ્રંથ થકી શ્રીયંત્ર અને દેવીઓ વિશેનું સાચું અને સમગ્ર જ્ઞાન લોકો સુધી સરળ રીતે પહોંચી શકે છે. છેલ્લા આઠ વર્ષની મહેનત પછી ગૂઢ રહસ્યોની સમજણ પછી તથા વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની સ્થાપના અને સ્તુતિ પછી પુસ્તક વિમોચન કરાયું છે. આ પુસ્તક શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ ખાતેથી માઇભક્તોને મળી રહેશે તેમ જણાવ્યું હતું.
આ ગ્રંથ માત્ર એક પુસ્તક નથી, પરંતુ ભારતીય સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિબિંબ છે, જે વાચકોને જ્ઞાન અને પ્રેરણા આપે છે. વહીવટદાર કૌશિક મોદીએ આ પ્રસંગે પુસ્તકની મહત્તા અને ધાર્મિક પરંપરાઓને નવીન પેઢી સુધી પહોંચાડવા માટે જય ભોલે ગ્રુપના પ્રયત્નોને બિરદાવ્યા હતા.

