ગ્રેટર નોઈડામાં શારદા યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીએ શુક્રવાર, 18 જુલાઈના રોજ હોસ્ટેલમાં આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા કેસમાં બે પ્રોફેસરોના નામ સામે આવ્યા છે. મૃતક વિદ્યાર્થીનીનું નામ જ્યોતિ શર્મા છે, જેમણે યુનિવર્સિટીના પ્રોફેસરો પર માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યોતિ બેચલર ઓફ ડેન્ટલ સર્જરીની બીજા વર્ષની વિદ્યાર્થીની હતી. આ કેસમાં પાંચ લોકો સામે FIR નોંધવામાં આવી છે. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનો પરિવાર સતત ન્યાયની માંગ કરી રહ્યો છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની પણ અટકાયત કરી છે. આ દરમિયાન, જ્યોતિ શર્માની માતાએ યુનિવર્સિટીના દંત ચિકિત્સા વિભાગના વડાને થપ્પડ મારી દીધી. જેના કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ.
રિપોર્ટ અનુસાર, વિદ્યાર્થીઓએ કહ્યું કે બનાવટી સહીના આરોપોને કારણે જ્યોતિ તણાવમાં હતી. માતાએ આરોપ લગાવ્યો કે શિક્ષકો પુત્રીને કહેતા હતા કે, “તું જાતે સહી કર. અમને શું જરૂર છે? અમે તને નિષ્ફળ કરીશું.
હાલમાં, આ કેસમાં બે શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને યુનિવર્સિટીએ એક ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે, જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન, ગ્રેટર નોઈડાના એડીસીપી સુધીર કુમારે જણાવ્યું હતું કે, “તેઓએ (પરિવારે) 5 લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે, જેમાંથી અમે બે લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે, અમે હજુ સુધી તેમની ધરપકડ કરી નથી. અમે પુરાવાના આધારે કાર્યવાહી કરીશું, તપાસ ચાલુ છે.

