બનાસકાંઠા જિલ્લા ભુસ્તર વિભાગની વિવિધ ટીમોના સપાટાથી ખનીજ ચોરોમાં ફફડાટ
બનાસકાંઠા ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિત સિંહ સરસ્વાના માર્ગદર્શન હેઠળ ભુસ્તર વિભાગની વિવિધ ટિમો ખનિજ ચોરી અટકાવવા સધન પ્રયાસ કરાઈ રહ્યા છે ત્યારે ખનીજ વિભાગની ટિમ મોડી રાત્રે કુચાવાડા ત્રણ રસ્તા પાસે વોચ રાખી રેતી ભરીને આવતા ડમ્પરો ચેક કરતા ત્રણ ડમ્પરમાં સાદી રેતી ભરેલ હતી. જે ડમ્પરના ચાલક પાસે પાસ પરમીટ મળી ન આવતા ત્રણેય ડમ્પર કબ્જે કરી લાખોના મુદ્દામાલને સીઝ કરી દંડનીય કાર્યવાહી કરી હતી જયારે કંસારી પાસેથી પણ એક ડમ્પર રોયલ્ટી પાસ વગર મળી આવતા તેની સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જોકે બીજા દિવસ વહેલી સવારે ખાનગી વાહનમાં ફરી ખનીજ વિભાગની ટિમ દ્વારા દાંતીવાડા રોડ પર ચેકીંગ હાથ ધરતા બે ડમ્પર રોયલ્ટી પાસ કરતા વધુ ખનીજ વહન કરતા ઝડપાઇ ગયેલ. જે ડમ્પરને કબ્જે કરી દંડ વસુલવાની કાર્યવાહી હાથ ઘરેલ.આમ એક જ દિવસમાં સાત ડમ્પર કબ્જે કરી લાખોનો દંડ વસુલ કરવામાં આવેલ.
ચાલુ વર્ષે 469 ખનીજ ચોરીના કેશ : જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી
આ બાબતે ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સરસ્વાએ જણાવ્યું હતું કે ગયા એક માસમાં 145 ખનીજ ચોરીના કેસ કરી રૂપિયા 233.37 લાખની આવક સરકારી તિજોરીમાં જમા કરાવેલ.જ્યારે બે પોલીસ કેસ પણ દાખલ કરેલ. જોકે અમોએ ગત વર્ષે 2024 માં એપ્રિલથી જુલાઈ સુધી રૂપિયા 35.32.કરોડની આવક મેળવી હતી જે ચાલુ સાલે ત્રણ માસમાં 52.75 કરોડની આવક કરેલ. જે ગત વર્ષની સરખામણીમાં 17.34 કરોડની આવક વધુ કરેલ.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષમાં 469 ખનીજ ચોરીના કેસ કરી રૂપિયા 882.69 ની આવક મેળવી છે.સાથે મહેસુલી આવકમા પણ નોંધાપાત્ર વધારો થયો છે.

