‘અસત્ય ઉપર સત્યનો વિજય’ના નારા સાથે ડીસા તાલુકાના રામપુરા ગામમાં આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકીય કાવાદાવાનો ભોગ બનેલા લોકપ્રિય સરપંચ ગણપતભાઈ વસ્તાભાઈ ભીલડીયાને ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ ફરીથી હોદ્દાનો ચાર્જ સંભાળવાનો આદેશ મળતા દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.રામપુરા ગામના સરપંચ ગણપતભાઈ ભીલડીયાએ ગત વર્ષે ગામના હિતમાં ગૌચર અને સરકારી જમીનો પરથી ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી. આ કામગીરીથી અકળાયેલા દબાણદારોએ રાજકીય આશરો લઈ તેમની વિરુદ્ધ ખોટી અરજીઓ કરી હતી. જેને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ તા. ૨૬-૪-૨૫ ના રોજ ગુજરાત પંચાયત ધારાની કલમ-૫૭ (૧) હેઠળ તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.
હાઇકોર્ટનો મનાઈ હુકમ સામે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઇકોર્ટે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ પર મનાઈ હુકમ (Stay) આપતા, ડીસા તાલુકા વિકાસ અધિકારીએ ગણપતભાઈને ફરીથી હોદ્દાનો ચાર્જ સોંપવાનો સત્તાવાર આદેશ જારી કર્યો છે.
“મેં હંમેશા ગામના વિકાસ અને ગૌચરની જમીન બચાવવા માટે કામ કર્યું છે. હાઇકોર્ટના આ નિર્ણયથી લોકશાહીનો વિજય થયો છે. ગામની ગૌચર, સરકારી અને પંચાયતની જમીનોને ખાલી કરાવવાની મારી લડત અવિરત ચાલુ રહેશે.”
– ગણપતભાઈ ભીલડીયા, સરપંચ, રામપુરા
ગામલોકોમાં ખુશીની લહેર
સરપંચે ચાર્જ સંભાળતા જ ગામલોકોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને વધાવ્યા હતા. ગ્રામજનોનું કહેવું છે કે, એક પ્રામાણિક સરપંચને પરેશાન કરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. હવે ફરીથી ગામના વિકાસના કામો વેગ પકડશે તેવી આશા બંધાઈ છે.

