સરસ્વતીના કાનોસણ ગામની સેવા સહકારી મંડળીમાં થયેલા રૂપિયા ૨.૪૭ કરોડના ઉચાપત કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં વાગડોદ પોલીસે ૩૫ વર્ષીય મનુજીની ધરપકડ કરી હતી.જેઓએ જામીન માટે મુકેલ અરજી ને પાટણની જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ ડૉ. હિરલબેન પી. જોશીએ નામંજૂર કરી કોર્ટે નોંધ્યું કે તપાસ હજુ પૂર્ણ થઈ નથી. આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા છે. આ કેસની મળતી વિગતો મુજબ તા. ૬ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના વિભાગીય ઇન્સ્પેક્ટર ગૌરાંગ ઠાકોરે ઉચાપત ની ફરિયાદ નોંધાવી હતી. તેમાં ૬૬ સભાસદો અને ૭ હોદ્દેદારો મળી કુલ ૭૩ વ્યક્તિઓ સામે આરોપ મૂકવામાં આવ્યા હતા.
આરોપીઓએ ૪ જાન્યુઆરી ૨૦૧૮ થી ૧૭ જૂન ૨૦૨૧ના સમય દરમિયાન બેંકની પાટણ શાખામાંથી ખોટા દસ્તાવેજો રજૂ કરીને લોન મેળવી હતી. આ લોન સભાસદોના નામે અથવા તેમની જમીનો પર લેવામાં આવી હતી. આરોપીઓએ લોનનું વ્યાજ અને મુદ્દલ બેંકને ચૂકવ્યું નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે પોલીસે આરોપી મનુજી વિરુદ્ધ અન્ય કોઈ ગુનાનો ઇતિહાસ રજૂ કર્યો નથી કે રિમાન્ડની માગણી કરી નથી. જો કે, ગુનાની ગંભીરતા અને ટ્રાયલ દરમિયાન આરોપીની હાજરીની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને તેઓના જામીન ના મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

