ખાણ અને ખનીજ વિભાગની કાર્યવાહી સામે આમ પ્રજામાં આક્રોશ
કાંકરેજ અને ઓગડ તાલુકાના નાના જામપુર, મોટા જામપુર, ખારીયા, ટોટાણા- હારીજ રોડા, ભદ્રેવાડી,ખાખર, વાલપુરા, સુદ્રોસણ સહિતના વિસ્તારોમાં જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટિમ એકાદ બે રેત ભરેલા વાહનો -જેસીબી પકડીને મીડિયામાં મોટા ન્યુઝ પ્રસિદ્ધ કરાવે છે. ત્યારે ખરેખર રેત ખનન પ્રવૃત્તિનું મૂળ શોધવામાં કેમ નિષ્ફળ રહે છે ? રેત ભરીને ઓવરલોડ નંબર વગરના આવરણ ઢાંક્યા વગરના દોડતા વાહનો પ્રત્યે કડક વલણ કેમ નહીં ? એ સવાલો વચ્ચે લોકમુખે એવી પણ ચર્ચા છે કે આ ખનન પ્રવૃત્તિમાં હરીફોની સંખ્યા વધુ હોવાથી ભ્રષ્ટ તંત્રને દરેક રીતે ફાયદો થાય છે. જેના કારણે બનાસ નદીનો પટ ૨૪ કલાક ખોદાઈને ચંબલની ખીણ જેવી થઈ ગયો છે. ૨૦૧૭ ની બનાસ નદીની તારાજી માટે રેત ખનન પ્રવૃત્તિ જ જવાબદાર હોવાનું વડીલો કહે છે.
નાના જામપુર, ખારીયા, થરા, ટોટાણા, બલોચપુર આંગણવાડા, અરણીવાડા વિસ્તારમાં તંત્ર સાચા દરોડા પાડી સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરે તેવી બનાસ- પર્ણાશા પ્રેમીઓની માંગ છે.ઓવરલોડ આવરણ ઢાંક્યા વગરના બેફામ દોડતા ડંફરો અકસ્માત માટે ખાસ કારણભૂત બને છે. કેટલાક નદી વિસ્તારના ગામડાના વિદ્યાર્થીઓ ગ્રામજનો આંખ કિડનીના દર્દથી આ ઓવરલોડ દોડતા વાહનોની રજના કારણે પીડાઈ રહ્યા છે. સ્ટેટ નેશનલ હાઇવે પર મસ મોટા ખાડા પણ પડી ગયા છે.
કાંકરેજ અને ઓગડ તાલુકાના મામલતદાર એક જ છે અને આ તાલુકામાં નાયબ મામલતદાર તરીકેનો અનુભવ તેમના માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે પણ ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર કડક બની કેમ કાર્યવાહી કરતું નથી.ખાણ ખનીજ વિભાગનો કલાર્ક, પટાવાળો કે પોલીસ તંત્રનો સામાન્ય કોન્સ્ટેબલ પણ આ પ્રવૃત્તિ સામે લાચાર દેખાય છે. તેની તપાસ થાય તો ઘણું બધું બહાર આવે પણ ગુજરાતમાં જેમ દારૂબંધીનું ચાલે છે તેમ આ કુદરતી સંપત્તિનો નાશ કરવાનું ષડયંત્ર ચાલે છે. થરા શિહોરી કંબોઈ ખીમાણા વિસ્તારમાં તો ચોવીસ કલાક ઓવરલોડ રેત ભરીને દોડતા ટ્રેક્ટર ટર્બા ડમ્ફરો ટ્રાફિક સમસ્યાને વિક્ટ બનાવી રહ્યા હોવા છતાં બિચારું પોલીસ તંત્ર લાચાર બનીને તમાશો જોઈ રહ્યું છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ સામે પણ જાગૃત નાગરિકો અનેક સવાલો કરી રહ્યા છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ ખરા નાનાજામપુર ટોટાણા હારીજ રોડા બલોચપુર અરણીવાડા આંગણવાડા વિસ્તારમાં ચાલતી રેત ખનન પ્રવૃત્તિની લીઝ સુધી પહોંચી કાયદેસરતા કે બિન કાયદેસરતાની તપાસ કરી જવાબદારો સામે સાચી કાર્યવાહી કરવામાં સફળ થશે ? તેવો પંથકની પ્રજામાં સવાલ ઉઠ્યો છે.

