સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ

સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ

હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરે નાગરિકોના કામો સંવેદનશીલતા અને પ્રમાણિકતાથી ઝડપી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ આદિજાતિ વિસ્તારમાં આવાસ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામો અને તેની ગ્રાન્ટ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે પવિત્ર યાત્રાધામ વિકાસ અંતર્ગત ગુણભાખરી સ્થિત સંચરાઈમાતા મંદિર, વિરેશ્વર અને શારણેશ્વર મંદિરના વિકાસ માટે થયેલી કામગીરી તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા કરાયેલી કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી.

હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ શહેરમાં વીજ લાઈન, લીખી માધ્યમિક શાળાના મકાનની ગ્રાન્ટ, હિંમતનગર તાલુકાની આંગણવાડીઓના જર્જરિત મકાનોના રીનોવેશન અને સિંચાઈ વિભાગ દ્વારા તળાવ ભરવા અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા.બેઠકના બીજા ભાગમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ, સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો અને આદિજાતિ વિસ્તારમાં નેટવર્કના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.કલેક્ટરે તમામ વિભાગોને સંકલનમાં રહી નાગરિકોના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા સૂચના આપી હતી. તેમણે કર્મચારીઓને કેપેસિટી બિલ્ડીંગ માટે તાલીમ આપવા, અધિકારીઓની ફિલ્ડ વિઝીટ વધારવા, ઓફિસમાં સંવેદનશીલતા અને પ્રમાણિકતાથી કામ કરવા તેમજ ઓફિસોનું વાતાવરણ સુધારવા પર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર કે.એ.વાઘેલા, તમામ પ્રાંત અધિકારીઓ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *