સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સરવણા ગામે એક જ રાતમાં તસ્કરોએ છ મકાનોને નિશાન બનાવ્યા હતા. તેમાંથી બે મકાનમાંથી કુલ રૂ. 3.65 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.તસ્કરોએ પાંચ બંધ મકાનોના તાળા તોડ્યા હતા. જ્યારે એક મકાનમાં માલિકો આગળના ભાગે હાજર હોવા છતાં, પાછળથી તાળું તોડી ઘરમાંથી ચોરી કરી હતી.
વિજયસિંહ રણજીતસિંહ સૂર્યવંશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઉત્તરાયણની રાત્રે અજાણ્યા શખ્સોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. અંદરથી બે પતરાની પેટીના તાળા તોડી, રૂ. 1 લાખનો સવા તોલા સોનાનો દોરો, રૂ. 50 હજારની અડધા તોલા સોનાની બુટ્ટીની જોડ, રૂ. 10 હજારની વીંટી, રૂ. 30 હજારના ચાંદીના બે જોડી રમજા, 25 ગ્રામના પાંચ ચાંદીના સિક્કા અને રૂ. 50 હજાર રોકડ સહિતની મત્તાની ચોરી કરી હતી.
આ ઉપરાંત, રઘુવીરસિંહના ઘરના કબાટમાંથી તસ્કરો રૂ. 50 હજારનું અડધા તોલા સોનાનું પેંડલ, રૂ. 30 હજારની કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી, રૂ. 10 હજારના ચાંદીના રમજા અને રૂ. 25 હજાર રોકડ ચોરી ગયા હતા. બંને મકાન માલિકોની ફરિયાદના આધારે ગાંભોઈ પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી, FSL અને ડોગ સ્ક્વોડ સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરી છે.

