સાબરકાંઠા; એન્ટી કરપ્શન બ્યુરોએ સર્કલ ઓફિસરને 30 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા

સાબરકાંઠા; એન્ટી કરપ્શન બ્યુરોએ સર્કલ ઓફિસરને 30 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા

મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરોએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની મામલતદાર કચેરીમાં એક સફળ ડીકોય ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં ગાંભોઈના સર્કલ ઓફિસર જીતેન્દ્રકુમાર રમેશચંદ્ર પટેલને 30 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરોને માહિતી મળી હતી કે હિંમતનગર મામલતદાર કચેરીના અધિકારીઓ જમીનમાંથી ખનિજ કાઢવાની પરવાનગી માટેની અરજીઓમાં પોઝિટિવ અભિપ્રાય આપવા અને હેરાનગતિ ન કરવા માટે અરજદારો પાસેથી 30,000થી 50,000 રૂપિયા સુધીની લાંચની માગણી કરે છે.

આ માહિતીના આધારે સવારથી એન્ટી કરપ્શન બ્યુરો ટીમે મામલતદાર કચેરીમાં વોચ ગોઠવી હતી. ડીકોય સાથે મળીને છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપી સર્કલ ઓફિસરે ડીકોય સાથે વાતચીત કરી 30,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. જ્યારે તેઓ લાંચ લઈ રહ્યા હતા ત્યારે મહેસાણા ACBએ તેમને સર્કલ ઓફિસમાંથી ઝડપી લીધા હતા. ત્યારબાદ આરોપી સર્કલ ઓફિસરને હિંમતનગર એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં રાત્રિ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે તપાસ ગાંધીનગર ACBને સોંપવામાં આવી છે. આજે લાંચિયા સર્કલ ઓફિસરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી જીતેન્દ્રકુમાર પટેલ હિંમતનગરના બહુમાળી ભવનમાં આવેલ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે અને ગાંભોઈના સર્કલ ઓફિસર તરીકે કાર્યરત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *