બનાસકાંઠા જિલ્લામાં થયેલ વરસાદને પગલે જિલ્લામાં ૨૦ જેટલા રોડ-રસ્તાઓને નુકસાન થયું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને સૂચનાઓ હેઠળ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા જિલ્લામાં નુકસાન થયેલા તમામ રસ્તાઓને મરામત કરીને પૂર્વવત કરાયા છે.
માર્ગ અને મકાન વિભાગ રાજ્ય પાલનપુર હસ્તક જિલ્લામાં કુલ ૨૨૯ રસ્તાઓ આવેલા છે. આંબા ઘાટા- દાંતા રસ્તા પર થયેલ લેન્ડ સ્લાઇડના કારણે બંધ થયેલ રસ્તાને યુદ્ધના ધોરણે રીપેર કરીને પુનઃશરૂ કરાયો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા લેન્ડ સ્લાઈડના લીધે રસ્તા પર ભેગા થયેલ ડેબ્રિસને તાત્કાલિક હટાવીને રસ્તાને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદના સમયમાં અસુવિધા ન થાય તે માટે જરૂરી તકેદારીના પગલાંઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

