લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બહુજન સમાજ પાર્ટીના સ્થાપક કાંશીરામ માટે ભારત રત્ન માંગ્યો છે. તેમણે પીએમ મોદીને પત્ર લખીને પોતાની માંગણી વ્યક્ત કરી છે. રાહુલ ગાંધી ઘણા દિવસોથી કાંશીરામના સમર્થનમાં નિવેદનો આપી રહ્યા છે. અગાઉ તેમણે કહ્યું હતું કે જો નેહરુ જીવતા હોત તો કોંગ્રેસ કાંશીરામને મુખ્યમંત્રી બનાવત. જોકે, ઉત્તર પ્રદેશ સરકારના એક મંત્રીએ જણાવ્યું હતું કે કાંશીરામએ કોંગ્રેસના વિરોધમાં બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી હતી.
રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો હતો કે જો ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ જીવતા હોત, તો કાંશીરામ કોંગ્રેસ વતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોત. જોકે, તેમણે ઉમેર્યું હતું કે જો કોંગ્રેસે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું હોત, તો કાંશીરામ ક્યારેય સફળ ન થાત. નેહરુનું 1964માં અવસાન થયું. 1978માં પછાત વર્ગોના હિતોની હિમાયત કરતી સંસ્થા, BAMCEF ની સ્થાપના સાથે કાંશીરામ રાજકીય દ્રશ્ય પર ઉભરી આવ્યા હતા. ત્યારબાદ તેમણે 1984માં બહુજન સમાજ પાર્ટી (BSP) ની રચના કરી.
કાંશીરામની જન્મજયંતિ (૧૫ માર્ચ) ના બે દિવસ પહેલા, ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે આયોજિત બંધારણ પરિષદમાં રાહુલ ગાંધીએ ડૉ. ભીમરાવ આંબેડકર અને બહુજન સમાજ પાર્ટી (BSP) ના સ્થાપક કાંશીરામની પ્રશંસા કરી. રાહુલે કહ્યું, “કાંશીરામજીએ સમાજમાં સમાનતાની વાત કરી હતી. કોંગ્રેસ પોતાનું કામ સંપૂર્ણ રીતે કરી શકી નહીં. આ જ કારણ છે કે કાંશીરામજી સફળ થયા. જો કોંગ્રેસ યોગ્ય રીતે કામ કર્યું હોત, તો કાંશીરામજી ક્યારેય સફળ ન થયા હોત.” તેમણે કહ્યું, “જો જવાહરલાલ નેહરુજી જીવતા હોત, તો કાંશીરામજી કોંગ્રેસના મુખ્યમંત્રી હોત.”

