રૂ.65,000 ના બોગસ બિલથી ખાનગી એજન્સી દ્વારા સરકારી નાણાંના દુરુપયોગનો આક્ષેપ
સરકાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સુવિધા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદો સતત સામે આવતી રહે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ડીસા તાલુકાની દામા ઠાકોરવાસ પ્રાથમિક શાળામાંથી સામે આવ્યો છે, જ્યાં ધાનેરાની “પી.એસ.એન્ટરપ્રાઈઝ” નામની એજન્સી દ્વારા આર.ઓ.પ્લાન્ટ લગાવવાના નામે રૂ.65,000નું બોગસ બિલ પકડાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પી.એસ.એન્ટરપ્રાઈઝને દામા ઠાકોરવાસ પ્રાથમિક શાળામાં 50 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળો આર.ઓ.ફિલ્ટર પ્લાન્ટ લગાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એજન્સી દ્વારા શાળામાં ટાંકા વગરનો 50 લીટર ક્ષમતાનો આર.ઓ.પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો. પરંતુ, 21 જૂનના રોજ જ્યારે આ એજન્સીએ આર.ઓ.પ્લાન્ટ ફીટિંગનું બિલ મોકલ્યું, ત્યારે શાળાના પ્રિન્સિપાલ અને એસએમસી (શાળા વ્યવસ્થાપન સમિતિ) સભ્યો ચોંકી ઉઠ્યા હતા.
આજે શાળામાં એસએમસીની બેઠક યોજાઈ હતી, જેમાં ગામના આગેવાનો પણ હાજર હતા. તે સમયે શાળાના પ્રિન્સિપાલે પી.એસ.એન્ટરપ્રાઈઝ દ્વારા મોકલેલું બિલ રજૂ કર્યું. આ બિલમાં માત્ર 50 લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા આર.ઓ.પ્લાન્ટના ફીટિંગની કિંમત રૂ. 65,000 દર્શાવવામાં આવી હતી. આટલી ઊંચી રકમ જોઈને એસએમસીના સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
શાળાના એસએમસી સભ્ય અને સ્થાનિક આગેવાન લેબજીજી ઠાકોરે આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે જે નાણાં ખર્ચવામાં આવે છે, તેનો ગેરલાભ ખાનગી એજન્સીઓ ઉઠાવી રહી છે. 50 લીટરની ક્ષમતાવાળા આર.ઓ.પ્લાન્ટ માટે જો ખાનગી એજન્સી રૂ.65,000 નું બિલ મોકલતી હોય, તો આ ગંભીર બાબત છે.”
આ બાબતે 50 લીટર ક્ષમતાવાળા આર.ઓ. પ્લાન્ટની ઓનલાઈન કિંમત સર્ચ કરતા, તેની કિંમત રૂ.8,000 થી રૂ.19,000ની આસપાસ હોવાનું જાણવા મળ્યું. આ કિંમત અને પી.એસ.એન્ટરપ્રાઈઝ દ્વારા મોકલેલા બિલની રકમ વચ્ચે જમીન-આસમાનનો ફરક જોવા મળ્યો. પી.એસ.એન્ટરપ્રાઈઝ દ્વારા એવો તો કયો આર.ઓ. પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે કે તેની કિંમત રૂ. 65,000 મુકવામાં આવી છે, તે એક મોટો સવાલ છે.
આ બાબતે આર.ઓ. પ્લાન્ટ લગાવનાર પી.એસ. એન્ટરપ્રાઈઝનો સંપર્ક કર્યો, પરંતુ તેમના દ્વારા કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. જ્યારે શાળામાં બિલ લેવા આવેલા વ્યક્તિએ કબૂલાત કરી હતી કે આ એજન્સી દ્વારા ડીસાની અન્ય દસ શાળાઓમાં પણ આર.ઓ. પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, આ એજન્સી દ્વારા શાળાને મોકલવામાં આવેલા બિલમાં જીએસટી નંબર પણ લખેલો નથી, જે આ એજન્સીની વિશ્વસનીયતા પર ગંભીર સવાલ ઉઠાવે છે.
જિલ્લા શિક્ષણ વિભાગની તપાસ જરૂરી; દામા ઠાકોરવાસની આ ઘટના જિલ્લા શિક્ષણાધિકારીની નિષ્ઠાની પરીક્ષા સમાન છે. શા માટે આ એજન્સી દ્વારા આટલું મોટું બિલ બનાવવામાં આવ્યું? શું આમાં કોઈ અધિકારીની સંડોવણી છે કે એજન્સીને કોઈના આશીર્વાદ છે? દામા ઠાકોરવાસ પ્રાથમિક શાળાની જાગૃતિને કારણે જ આ ઘટના બહાર આવી છે. જો આ શાળા જાગૃત ન હોત, તો આ બિલની પણ ચુકવણી થઈ ચૂકી હોત.જો આ એજન્સી દ્વારા સરકારના નાણાંનો આ પ્રકારે ખોટો દુરુપયોગ થતો હોય, તો શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતની ઊંડી અને નિષ્પક્ષ તપાસ કરવી અત્યંત જરૂરી છે. તો જ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે ફાળવવામાં આવતા નાણાંનો દુરુપયોગ થતો અટકાવી શકાશે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાશે.

