મહેસાણા જિલ્લામાં લગ્નજગ દરેક શહેરમાં રખડતા ઢોરરોનો ત્રાસ અતિશય વધી જવા પામ્યો છે, તેવામાં જિલ્લાના વિજાપુર શહેરના લોકોએ વિશાળ સંખ્યામાં રેલી કાઢી રખડતા ઢોર મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિજાપુર શહેરમાં પણ રખડતા ઢોરોનો આતંક ચરમસીમાએ વધી ગયેલો જોવા મળી રહ્યો છે ત્યારે મહિલાઓ,બાળકો ,યુવાનો સહિત મોટી સંખ્યામાં લપકો એકત્રિત થઈ રેલીનું આયોજન કરી મામલતદારને આવેદન આપવા ગયા હતા. જ્યાં વિવિધ પ્રકારના વિરોધ દર્શાવતા નારાઓ લગાવી વિજાપુર શહેરને રખડતાં ઢોર મુક્ત કરવા કટિબદ્ધ થયા છે.
વિજાપુર શહેરમાં વારંવાર રખડતા ઢોરથી અકસ્માતના બનાવો વધવા લાગ્યા છે અને આવનારા સમયમાં પણ તેની પ્રબળ સંભાવના શક્ય છે. અત્યાર સુધીમાં વિજાપુર શહેરમાં કેટલાય લોકો રખડતા ઢોરથી અકસ્માતનો ભોગ બની ગંભીર રીતે ઘાયલ થયા છે તો ઘણાએ પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. વિજાપુર શહેરને ઢોરોએ બાન લીધું હોય તેમ ચારેતરફ ઢોરોના ખડકલા જ જોવા મળી રહ્યા છે. ત્યારે આ સંદર્ભે વિજાપુર વાસીઓએ એક થઈને મહારેલીનું આયોજન કરી નગરપાલિકા તંત્ર અને સ્થાનિક ધારાસભ્યની નિષ્ક્રિયતાના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા અને દેખાવ કર્યા હતાં. શહેરના મુખ્ય બજારમાંથી રેલી નીકળીને મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને વિજાપુર શહેરને ઢોર મુક્ત કરવા માટે આવેદન અને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
જે અનુસંધાને મામલતદારે દસ દિવસમાં ઉકેલ લાવવાની આપવાની બાહેંધરી આપતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો અને રેકીનો અંત કરવામાં આવ્યો હતો. પરંતુ જો દસ દિવસમાં રખડતા ઢોર મુદ્દે ઉકેલ નહીં આવેતો લોકોની જલદ આંદોલન કરવાની ચીમકી આપીને મામલતદાર સહિત નગરપાલિકાના સત્તાધીશો અને ધારાસભ્યને ચેતવણી આપી છે.


