કડીમાં એક વર્ષથી ખખડધજ રોડથી લોકો ત્રાહિમામ:વડવાળા હનુમાનના મંદિરથી ભાગ્યોદય ચોકડી સુધીના રોડનું કામ અધૂરું, 6 મહિના પહેલા ખાતમુહૂર્ત છતાં હજુ રોડ ન બન્યો કડીમાં વડવાળા હનુમાનજી મંદિરથી ભાગ્યોદય ચોકડી સુધીના રોડની સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા એક વર્ષથી આ 600 મીટર લાંબો રસ્તો ખાડાઓથી ખદબદી રહ્યો છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોની વારંવારની રજૂઆત બાદ રોડના નવીનીકરણ માટે મંજૂરી મળી હતી.
6 મહિના પહેલા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ડામર રોડની મંજૂરી મળી હતી. પરંતુ શિવશક્તિ સોસાયટી અને માર્કેટયાર્ડ પાસે પાણી ભરાવાની સમસ્યાને કારણે સીસી રોડ માટે નવી દરખાસ્ત ગાંધીનગર મોકલવામાં આવી. એક કરોડથી વધુના ખર્ચે બનનારા આ રોડનું કામ એપ્રિલમાં શરૂ થયું હતું. અધિકારીઓએ બે મહિનામાં કામ પૂર્ણ થવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ હાલ માત્ર શિવશક્તિ સોસાયટી પાસે સીસી રોડનું કામ જ પૂર્ણ થયું છે. તેમજ રોડ ઉપર ટ્રાફિકની પણ સમસ્યા ઉદભવતા ગ્રાહકો દુકાન પર આવતા નથી તેમ જ રોડની આજુબાજુ રહેતા રહીશો પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, ખરાબ રસ્તાને કારણે ધૂળની ડમરીઓ ઊડે છે, જેના કારણે તેમનો વેપાર પ્રભાવિત થયો છે. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને ભાજપના ઉમેદવારનો વિજય થયો છતાં રોડનું કામ અધૂરું છે. સ્થાનિકો આ પરિસ્થિતિથી ત્રસ્ત છે અને કામ પૂર્ણ કરવાની માગ કરી રહ્યા છે.


