ગ્રામજનોએ ઢોલ વગાડી બેનરો સાથે વિરોધ જતાવ્યો
પાલનપુરના અલીગઢ ગામમાં જીઆઇડીસી ગૌચરની જમીનમાં મંજૂર થતા જ વિવાદ સર્જાયો છે. ત્યારે સમગ્ર અલીગઢ ગામના લોકો હાથોમાં બેનર લઈને વિરોધ જતાવ્યો હતો. ગામલોકોનો આક્ષેપ છે કે, પંચાયતે વિશ્વાસમાં લીધા વિના જ ઉદ્યોગો માટે ઠરાવ કરી દીધો છે.
પાલનપુર તાલુકાના અલીગઢ ગામમાં વહેલી સવારે ઢોલ વગાડીને આખું ગામ ભેગું કરવામાં આવ્યું હતું. જે બાદ તમામ ગામ લોકો દૂધ મંડળી આગળ એકઠા થયા હતા. એકઠા થયેલા લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. ગૌચર પાછું જોઈએ, જીઆઇડીસી હટાવો સહિતના નારાઓ સાથે સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ગામલોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ગામના ગૌચરની જમીન જીઆઇડીસી માં તબદીલની પ્રક્રિયા એક તરફી કરવામાં આવી હોવાનું ગામલોકો એ જણાવ્યું હતું.
ગૌચરની જમીન પર જીઆઇડીસી બનાવાનો ઠરાવ થતા ગામ લોકો જણાવ્યું હતું કે, કેમિકલની ફેક્ટરીઓના પ્રદુષિત ધુમાડો સ્વાસ્થ્ય માટે નુકસાન કારક બનશે. ત્યારે ગ્રામજનોએ જરૂર પડે કોર્ટના દ્વાર ખખડાવવા ની ચીમકી ઉચ્ચારી હતી.


