દબાણ કારોએ દબાણ હટાવવાની કામગીરીમાં બેધારી નિતિ સામે રોષ વ્યક્ત કર્યો; પાટણ શહેરમાં સિંચાઈ વિભાગની ખુલ્લી જમીન પર છેલ્લા ઘણા વર્ષોથી અનધિકૃત વસવાટ કરતા 27 ઝૂંપડાઓને ગુરૂવારે જેસીબી મશીનની મદદથી પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રીમાળી દીપકલા હરિશંકરની જિલ્લા સ્વાગત ફરિયાદના આધારે દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા સ્વાગત ફરિયાદમાં જણાવાયું હતું કે આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, અસહ્ય ગંદકી અને ઝઘડાઓ થતા હોય છે. જે રજુઆત ને આધારે કલેક્ટર દ્વારા આદેશ કરાતા સિંચાઈ વિભાગે ઝૂંપડાવાસીઓને ત્રણ નોટિસ આપી હતી. જો કે, રહીશોએ દબાણ દૂર ન કરતા પોલીસ બંદોબસ્ત સાથે ગુરૂવારે કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે પદ્મનાભ ચોકડીથી શાંતિનિકેતન હાઈસ્કૂલ સુધી મોટા પાકા દબાણો હોવા છતાં માત્ર ગરીબોના ઝૂંપડાઓ જ તોડવામાં આવ્યા છે. પાંચ વર્ષ પહેલા પણ આવી કાર્યવાહી થઈ હતી.
ઝૂંપડાવાસીઓએ કલેક્ટર સમક્ષ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે તેમને અને તેમના પરિવારને રહેવા માટે અન્ય વ્યવસ્થા કરી આપવામાં આવે. તંત્રની દબાણ હટાવ ઝુંબેશમાં બેવડી નીતિ અપનાવવામાં આવી હોવાનો આક્ષેપ પણ રહીશો દ્રારા કરવામાં આવ્યાં હતાં. આ દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન રહીશો વચ્ચે ધષૅણ થતાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

